
- ત્રણ વર્ષ સુધી લેન્ડિંગ ચાર્જમાં 70 ટકાથી 100 ટકા ઈન્સેન્ટિવ અપાશે
- વિદેશી વિમાની સેવા શરૂ કરવા માટેનો પ્રયાસ
- વડોદરા એરપોર્ટથી પ્રતિદિન 12 ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેટ થાય છે
વડોદરાઃ શહેરને વિદેશી વિમાની સેવાનો લાભ મળે તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-નવી દિલ્હી ડિવિઝને વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય વિમાની ઓપરેશન્સને પ્રોત્સાહન આપવા વિશેષ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા જે એર લાઈન્સ સંમત થશે તેને 2025-26, 2026-27 અને 2027-28 માટે લેન્ડિંગ ચાર્જમાં 70 ટકાથી 100 ટકા ઈન્સેન્ટિવ અપાશે. હાલ વડોદરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટીક ફ્લાઈટ લેન્ડિંગ થયા હોય છે. વિદેશી વિમાની સેવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઈન્સેન્ટિવ યોજના તો અમલમાં મુકી છે. પણ વિદેશ જવા માટે પુરતા પ્રવાસીઓ મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-નવી દિલ્હી ડિવિઝને વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય વિમાની ઓપરેશન્સને પ્રોત્સાહન આપવા વિશેષ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાત કરી છે. એર લાઈન્સ આ સ્કીમ અંતર્ગત વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો વિમાનની કંપનીને 3 વર્ષ માટે લેન્ડિંગ ચાર્જમાં લાભ મળશે. પ્રથમ વર્ષમાં 100% લેન્ડિંગ ચાર્જ રૂા.57,129 અને 10% યુઝર ડેવલપમેન્ટ ફી રૂા.10,728ની છૂટ અપાશે. બીજા વર્ષે 90% લેન્ડિંગ ચાર્જ એટલે રૂા.53,985ની છૂટ મળશે. તેવી જ રીતે ત્રીજા વર્ષે પણ 70% એટલે કે રૂા.44,087 ની છૂટ અપાશે. વિશેષ વાત એ છે કે, ઇન્ટરનેશનલ ઓપરેશન્સ માટે લાગતા ચાર્જને તુલનાત્મક રીતે ડોમેસ્ટિક ફ્લાઈટના ચાર્જ કરતાં ઓછા રખાશે, જેથી વધુ એર લાઈન્સને આકર્ષી શકાય.
વડોદરા એરપોર્ટ પરથી હાલમાં રોજ 12 ડોમેસ્ટિક ફ્લાઈટ લેન્ડિગ થતી હોય છે. જે મુખ્ય ડેસ્ટિનેશન્સ દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ માટે ઉડાન ભરે છે. વડોદરા એરપોર્ટને કસ્ટમ- ઇમિગ્રેશન સુવિધાથી અપગ્રેડ કરાયું છે. જેથી વિદેશ જતાં મુસાફરોને અહીંથી કસ્ટમ-ઇમિગ્રેશન ક્લીયરન્સ મળી શકશે. છેલ્લા એક વર્ષથી વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા મિશન મોડથી પ્રયાસો થઈ રહ્યા છે. સંસદનાં તમામ સત્રોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા રિવ્યુ બેઠક કરાઈ રહી છે. એક મહિના પહેલાં વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફ્લાઇટના ઓપરેશન માટે સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. ઈન્સેન્ટિવ યોજનાથી તમામ પ્રતિષ્ઠિત એર લાઇન્સ કંપનીઓને પ્રોત્સાહન મળશે., એએઆઇ દ્વારા ચેન્નાઇ-કોલકાતા અને રાજકોટને પણ ઈન્સેન્ટિવ સ્કીમ અપાઇ હતી