1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં લંડન જઈ રહેલી ફ્લાઈટ થઈ ક્રેશ, એરપોર્ટ બંધ કરાયું
અમદાવાદમાં લંડન જઈ રહેલી ફ્લાઈટ થઈ ક્રેશ, એરપોર્ટ બંધ કરાયું

અમદાવાદમાં લંડન જઈ રહેલી ફ્લાઈટ થઈ ક્રેશ, એરપોર્ટ બંધ કરાયું

0
Social Share

ગાંધીનગરઃ અમદાવાદમાં વિમાન ક્રેશની ઘટના સામે આવી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જઈ રહેલું એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. અચાનક પ્લેન ક્રેશ થતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટે ઉડ્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટેકઓફ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. તેમજ ફ્લાઈટમાં 230થી વધારે મુસાફરો હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં અગાઉ વર્ષ 1988માં પ્લેનક્રેશની ઘટના સર્જાઈ હતી. અમદાવાદામાં પ્લેનક્રેશની ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ સાંજના પાંચ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ શકાય તે માટે ગ્રીન કોરિડોર જાહેર કરવામાં આવ્યો હતો. 

સુત્રોના જણાવ્યા અનુસાર બપોરના સમયે ફ્લાઈટ ટેકઓફ દરમિયાન પાછળનો ભાગ એક ઝાટ સાથે ટકરાયો હતો.  જે બાદ ફ્લાઈટ ક્રેશ થઈને અમદાવાદની સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં પડી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. તેમજ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેટ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. જો કે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હોવાથી તંત્રને રાહત કામગીરીમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્યાર સુધીમાં લગભગ 25 વ્યક્તિઓને બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. હોસ્પિટલમાં પણ તંત્ર ખડેપગ રહ્યું હતું. આ બનાવને પગલે એનડીઆરએફની ટીમ પણ રવાના કરાઈ છે અને ડીજીસીએની ટીમ પણ ઘટના સ્થળ જવા રવાના થઈ હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર સર્જાઈ દુર્ઘટનાને પગલે અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરીને તમામ મદદની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ અમદાવાદ ફાયરબ્રિગેડે ફાયરકોલ જાહેર કર્યો હતો. તેમજ ફાયરફાઈટરને ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવ્યાં હતા.

સિવિલ હોસ્પિટલના પાછળના ભાગમાં તબીબી ક્વાટર્સ પાસે આ દૂર્ઘટના સર્જાઈ હતી. જેથી તબીબી ક્વાટર્સના એક બ્લોકમાં પણ આગ લાગી હતી. જેમાં 10થી 15 વ્યક્તિઓ ફસાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્લેન ક્રેશની ઘટનાને પગલે એમ.કે.દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળ પર જવા રવાના થયાં હતા. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આજના કાર્યક્રમ રદ કરીને ઘટના સ્થળે જવા રવાના થયાં હતા. દરમિયાન ફ્લાઈટના મુસાફરોની યાદી સામે આવી છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code