
નવી દિલ્હીઃ ઉત્તરકાશી જિલ્લામાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થયા છે. પોલીસ અને વહીવટીતંત્રની સાથે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ગુરુવારે સવારે લગભગ 8:45 વાગ્યે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગંગણી નજીક હેલિકોપ્ટર ક્રેશ થયાની માહિતી મળતાં, પોલીસ, SDRF, ફાયર, મેડિકલ અને અન્ય આપત્તિ રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ હેલિકોપ્ટર એરોટ્રાન્સ કંપનીનું હતું, જે આજે સવારે સહસ્ત્રધારા હેલિપેડથી હર્ષિલ માટે ઉડાન ભરી હતી.
હેલિકોપ્ટરમાં પાઇલટ સહિત સાત લોકો સવાર હતા, જેમાંથી છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક મુસાફર ઘાયલ થયો છે. વિમાનમાં સવાર ચાર મુસાફરો મુંબઈના અને બે આંધ્રપ્રદેશના હોવાનું કહેવાય છે. ઉત્તરાખંડમાં આ દિવસોમાં ચારધામ યાત્રા ચાલી રહી છે. કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી-યમુનોત્રીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા છે. કેટલાક લોકો પગપાળા નીકળી ગયા છે જ્યારે ઘણા હેલિકોપ્ટર સેવા દ્વારા પહોંચી રહ્યા છે.
ઉત્તરાખંડમાં આજે હવામાન અંગે હવામાન વિભાગ દ્વારા ચેતવણી પણ જારી કરવામાં આવી છે. દેહરાદૂન, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, નૈનીતાલ અને ચંપાવતમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઘણા વિસ્તારોમાં વાવાઝોડા તેમજ ભારે પવન ફૂંકાઈ શકે છે. ગયા સોમવાર, ૫ મેના રોજ, બદ્રીનાથ ધામ વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે, બદ્રીનાથથી દહેરાદૂન જઈ રહેલા યાત્રાળુઓને લઈને હેલિકોપ્ટરને ગોપેશ્વર રમતના મેદાનમાં કટોકટી ઉતરાણ કરવું પડ્યું. લગભગ પાંચ મિનિટ સુધી જમીનમાં રહ્યા પછી, હેલિકોપ્ટર દહેરાદૂન જવા રવાના થયું.