
નવી દિલ્હીઃ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના કેનેડાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન ઉપરાંત અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. તેઓ G-7 અને આમંત્રિત દેશોના નેતાઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. જેમાં ઊર્જા, સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, ખાસ કરીને AI, ઊર્જા અને ક્વોન્ટમ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે…
G7 સમિટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાના કેલગરી શહેર પહોંચી ચુક્યા છે. સાત દેશોનો સમૂહ – કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સ – વૈશ્વિક અર્થતંત્રના 44% નું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ વૈશ્વિક વસ્તીના માત્ર 10% હિસ્સો ધરાવે છે.
2015 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી કેનેડા મુલાકાત છે. તેઓ G-7 સમિટમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકી અને મેક્સીકન પ્રમુખ ક્લાઉડિયા શેનબૌમને મળશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને પણ મળશે.
યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં ગ્રુપ ઓફ સેવન (G7) સમિટના એક દિવસ પહેલા રવાના થઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસે સોમવારે આ માહિતી આપી હતી. ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, મારે જલ્દી પાછા ફરવું પડશે – કારણ સ્પષ્ટ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિને X પર લખ્યું છે કે, મધ્ય પૂર્વની પરિસ્થિતિને જોતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે રાત્રે રાજ્યના વડાઓ સાથે રાત્રિભોજન પછી રવાના થશે.