નવી દિલ્હીઃ દિલ્લીમાં 10 નવેમ્બરનાં રોજ લાલ કિલ્લા બહાર થયેલા ભયાનક વિસ્ફોટક હુમલા કેસની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ ચાર મુખ્ય આરોપીઓને જમ્મુ અને કાશ્મીરમાંથી ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની ટીમે ડૉ. મુજમ્મિલ શકીલ ગણાઈ (રહે. પુલવામા), ડૉ. અદીલ અહમદ રાથર (રહે. અનંતનાગ), ડૉ. શાહીન સઈદ (રહે. લખનૌ) તથા મુફ્તિ ઇરફાન અહમદ (રહે. શોપિયાન)ની ધરપકડ કરી છે. NIA પ્રમાણે, બધા જ આરોપીઓએ આ આતંકી હુમલાની રણનીતિ અને અમલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા તેમજ અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
NIA આ કેસમાં અગાઉ બે અન્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ પોલીસે આમિર રશીદ અલી અને જાસીર બિલાલ વાનીની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે તપાસમાં વધુ તાર મેળવાઈ રહ્યા છે અને સંપૂર્ણ મોડ્યુલની ઓળખ માટે પૂછપરછ ચાલુ છે.
10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં 15 નિર્દોષ લોકોનાં મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. NIAનું કહેવું છે કે તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ આતંકી નેટવર્ક અંગે મહત્વના ખુલાસા થઈ શકે છે. આ મામલે પોલીસ તપાસમાં હજુ સુધી ચોંકાવનારા ખુલાસા થયાં છે. એનઆઈએની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.


