
જયપુરઃ પાકિસ્તાને બાડમેર, જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગર જિલ્લામાં 413 ડ્રોન હુમલા કર્યા હતા, પરંતુ તે બધાને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ઇન્સ્પેક્ટર જનરલ (રાજસ્થાન ફ્રન્ટિયર) એમએલ ગર્ગે જણાવ્યું હતું. જોધપુરમાં બીએસએફ મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા, ગર્ગે પશ્ચિમી સરહદ પર ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફની સિદ્ધિઓ શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ રાજસ્થાનમાં સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં ફલોદી એરબેઝનો પણ સમાવેશ થાય છે, પરંતુ ભારતીય સેનાએ યોગ્ય સમયે, જ્યાં અને જ્યારે જરૂર હતી ત્યારે જવાબ આપ્યો હતો.
ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી આવી રહેલા મિસાઇલો અને ડ્રોન ખાલી નહોતા, પરંતુ તેમાંથી એક પણ ભારતીય ભૂમિને સ્પર્શી શક્યા નહીં અને ન તો તેઓ અહીંના કોઈપણ લશ્કરી કે નાગરિક માળખાને નુકસાન પહોંચાડી શક્યા. અમારી મિસાઇલ વિરોધી ટેકનોલોજી અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તેમને જમીન પર પહોંચે તે પહેલાં જ હવામાં જ નષ્ટ કરી દીધા હતા. તેમણે કહ્યું કે, આ જ કારણ હતું કે ભારતીય બાજુ કોઈ નુકસાન થયું નથી અને જે કંઈ જમીન પર પડ્યું તે ફક્ત ડ્રોનનો કાટમાળ હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પારની તૈયારીઓ વિશે પૂછવામાં આવતા, ગર્ગે કહ્યું કે પાકિસ્તાને સરહદ પર પોતાની સેના તૈનાત કરી હતી, પરંતુ એક પણ ભારતીય સૈનિક એક ઇંચ પણ પાછળ હટ્યો નહીં.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. બદલો લેવા માટે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો, જેમાં 100 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ પછી, પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને સરહદ પારથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.