
- કોલેજોમાં શૈક્ષણિક અસંતુલન સહિતના મુદ્દે અધ્યાપકો લડત આપશે,
- ઇજનેરી કોલેજોમાં અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર નિષ્ક્રિય,
- અધ્યાપકોને મળવાપાત્ર સીએએસનો લાભ છેલ્લા દોઢ વર્ષથી મળ્યો નથી,
અમદાવાદઃ રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પડતર પ્રશ્નોના મામલે સરકારને અનેક રજૂઆતો કર્યા છતાંયે પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાયું નથી.રાજ્યના શિક્ષણ વિભાગ પાસે અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવાનો સમય નથી. ત્યારે અધ્યાપકોની ધીરજ ખૂટી પડતા લડતનું એલાન કરાયું છે. આગામી 30મી, ઓગસ્ટને શનિવારના રોજ અધ્યાપકો ધરણાં યોજીને પડતર પ્રશ્નો જેવા કે કોલેજોમાં ઉભી થયેલી શૈક્ષણિક અસંતુલને સરખું કરવું, સીએએસની અમલવારી સહિતના મુદ્દા વણઉકેલ્યા રહ્યા છે તે મામલે લડત કરશે.
અધ્યાપક મંડળના કહેવા મુજબ રાજ્યભરની સરકારી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત રાજ્યના શિક્ષણ વિભાગમાં કરવામાં આવી છે. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંખ આડા કાનની નીતિ અપનાવવામાં આવી રહી છે. આથી સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પ્રશ્નો વણઉકેલ્યા રહેતા અનેક વખત વિરોધ કાર્યક્રમો યોજવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઇ જ નિર્ણય લેવાયો નથી. ત્યારે સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો વધુ એક વખત 30મી, ઓગસ્ટનને શનિવારના રોજ ધરણાં કરશે.
અધ્યાપકોના કહેવા મુજબ સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પડતર પ્રશ્નોમાં રાજ્યભરની અનેક કોલેજોમાં શૈક્ષણિક અંસતુલનની સ્થિતિ ઉભી થતાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધારે અધ્યાપકો તો અમુક કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા અધ્યાપકો જેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે આવી સ્થિતિને દુર કરવા જે કોલેજોમાં અધ્યાપકોની જગ્યાઓ ખાલી તે કોલેજમાં વધમાં રહેલા અધ્યાપકોને મુકવામાં આવે તો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ઉપર અસર પડે નહી. વધુમાં અધ્યાપકોને મળવાપાત્ર સીએએસનો લાભ છેલ્લા દોઢ વર્ષથી મળ્યો નથી. વધુમાં રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના 150 અને ડિપ્લોમા કોલેજના 300થી વધારે અધ્યાપકોને વર્ષ-2016થી મળવાપાત્ર એજીપી મુવમેન્ટનો લાભ મળ્યો નથી.