સુરત, 31 માર્ચ 2026: Police register a case against posters against BJP શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે. ત્યારે કોઈએ ભાજપના વિરોધમાં પોસ્ટર લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના જાહેર માર્ગો પર ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા વિવાદાસ્પદ પોસ્ટરો લગાવાતા અને પોસ્ટર પર પ્રિન્ટર કે પ્રકાશક તરીકે કોઈનું નામ ન હોવાથી આ મામલે શહેરના પૂણા અને કતારગામ પોલીસ મથકોમાં અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગઈ તા. 28 અને 29 માર્ચની રાત્રિ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ વાંધાજનક પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. આ પોસ્ટરો પર પ્રિન્ટિંગ પ્રેસનું નામ કે સરનામું લખવામાં આવ્યું નહોતું, જે કાયદાકીય રીતે ગુનો બને છે. પક્ષની છબી ખરડવાના ઇરાદે કરાયેલા આ કૃત્ય બાદ ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે પૂણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના સીતાનગર ચાર રસ્તા ઓવરબ્રિજના થાંભલાઓ અને પૂણાગામ મંડળી પાસે ખોટી હકીકતો ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી વિશાલ ભીખાભાઈ ચાવડા અને અન્ય 2થી 3 અજાણ્યા શખ્સો સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ-336(4), 54 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન બુક્સ એક્ટની કલમ 3 અને 12 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત કતારગામ વિસ્તારમાં પણ સમાન પ્રકારે બદનામ કરવાના ઈરાદે પોસ્ટરો લગાવાયા હતા. ડભોલી ચાર રસ્તા, લલિતા ચોકડી ગાર્ડન અને આંબાતલાવડી પાટીદાર સમાજની વાડીની દીવાલ જેવા વ્યસ્ત વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મુખ્ય આરોપીઓ દેવશીભાઈ પોપટભાઈ ઠેબરીયા અને ચિરાગ નાવડીયા અને અન્ય 2-3 અજાણ્યા શખ્સોની મિલીભગતથી આ પોસ્ટરો છાપીને લગાવવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


