
- આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો
- મહિસાગરના ખાનપુરના ભાદરોડ ગામે મકાન પડતા ખેડૂતનું મોત
- અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. ગત મધરાત બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભરે વરસાદ પડ્યા બાદ આજે સવારથી બપોર સુધીમાં 34 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ડાંગ-આહવા, ઝગડિયા, ભરૂચ, વાલીયા, તાપીના સોનગઢ, કરજણ, હાંસોટ સહિત 34 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. ગત મધરાતથી આજે સવાર સુધીમાં 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.મધરાતે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતાં અનેક વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં હતા. મહીસાગર જિલ્લાના ખાનપુરના ભાદરોડ ગામે મકાન ધરાશાયી થતાં ખેડૂતનું મોત થયું હતુ.
ગુજરાતમાં ગઈ કાલે દિવસભર ભારે ઉકળાટ રહ્યા બાદ મધરાત બાદ 89 તાલુકામાં વરસાદ પ્ડો હતો. જેમાં મોડાસા, સરસ્વતી, પાટણ આંકલાવ, મહેસાણા, પોશીના, આણંદ, વિજાપુર અને અમદાવાદ સહિત અનેક સ્થળોએ બે ઈંચ જેટલો વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. આજે સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર સુધીમાં 34 તાલુકામાં વરસાદ પડ્યો હોવાના વાવડ મળ્યા છે. આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમ રાજસ્થાન અપર એર સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવી છે. દરિયાકાંઠામાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાશે.
ગત મધરાતે ઊંઝા શહેર સહિત પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે વરસાદ વરસ્યો હતો, જેને લઇને તમિલનાડુથી માલ ભરીને ઊંઝા આવતી ટ્રક અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ફસાઇ ગઇ હતી. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં એક કાચું મકાન ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધ ખેડૂતનું મકાનના કાટમાળમાં દટાઈ જતા મોત નીપજ્યું છે. અરવલ્લી જિલ્લામાં મધરાતે કમોસમી વરસાદ પડતાં મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને શામળાજીમાં નુકસાન થયું છે. માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થવા સાથે મકાનોના પતરા ઉડ્યા હતા. તો માલપુરના અંબાવા-કોયલીયા રસ્તા પર વૃક્ષ પડતાં રસ્તો બંધ થઇ ગયો હતો. બીજી તરફ વીજ તાર તૂટતા લોકોને આખી રાત અંધારામાં વિતાવી પડી હતી.
મહેસાણામાં ગત મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાત્રે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે આજે સવારે વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં પણ મધરાતે વાતાવરણમાં પલટાની સાથે વરસાદની પધરામણી થઈ હતી. મધરાતે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે રાત્રે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે આજે વહેલી સવારે પાણી ઓસરી પણ ગયા હતા.