1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ TPOની 23.25 કરોડની ગેરકાયદે મિલકતો ટાંચમાં લેવા આદેશ
રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ TPOની 23.25 કરોડની ગેરકાયદે મિલકતો ટાંચમાં લેવા આદેશ

રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ TPOની 23.25 કરોડની ગેરકાયદે મિલકતો ટાંચમાં લેવા આદેશ

0
Social Share
  • સાગઠિયાની આવક કરતા 628 ટકા મિલકતો અપ્રમાણસર હતી,
  • રાજ્યના ગૃહ વિભાગે કરી કાર્યવાહી,
  • સાગઠિયા હાલ રાજકોટ જેલમાં બંધ છે

રાજકોટઃ શહેરના અગ્નિકાંડમાં જવાબદાર એવા મ્યુનિના ટાઉન પ્લાનર ઓફિસર (ટીપીઓ) મનસુખ સાગઠિયાની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન તે સમયે એસીબીએ પણ તપાસ કરતા સાગઠિયા પાસેથી કરોડો રૂપિયાની બેનામી સંપત્તી મળી આવી હતી. સાગઠિયા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે ત્યારે સરકારે લાલ આંખ કરીને મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોના નામે વસાવેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવા આદેશ કર્યો છે. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાએ પોતાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવતા ભ્રષ્ટાચાર અધિનિયમ કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે હાલ તે રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ સર્જાયા પહેલા આ સ્થળે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન કરી સાગઠિયાએ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી. અગ્નિકાંડ બાદ તપાસમાં આ હકિકત પ્રકાશમાં આવતા પોલીસે સાગઠિયાની ધરપકડ કર્યા બાદ તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠતા એસીબીએ તપાસમાં ઝંપલાવ્યું હતું અને દરમિયાન મનસુખ સાગઠિયા પાસેથી અપ્રમાણસર મિલ્કતો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એસીબીના સૂત્રોના કહેવા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠિયાએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે આવક કરતા વધુ નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાની કાયદેસરની કુલ આવક રૂપિયા 3,86,85,647ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રૂપિયા 28,17,93,981નું સ્થાવર/જંગમ મિલકતમાં રોકાણ ખર્ચ કરી હોવાનું સામે આવ્યું હતું. સાગઠિયાએ પોતાની આવક કરતા 628.42 ટકા વધુ એટલે કે કુલ રૂપિયા 24,31,08,334નું અપ્રમાણસર સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ/ખર્ચ પોતાની ફરજ દરમિયાન રોકાણ કર્યુ હતુ.

રાજકોટ એસીબી દ્વારા સાગઠિયાએ પોતાનાં તથા પોતાનાં પરિવારજનોનાં નામે વસાવેલી મિલકતો રૂપિયા 23,15,48,256ની મિલકત ટાંચમાં લેવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી, જે દરખાસ્ત અંગે રાજય સરકારના ગૃહ વિભાગ તરફથી મંજુરી આપવામાં આવતા હવે આરોપીની મિલકતો તાત્કાલિક ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડમાં રાજકોટ મનપામાં છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ સાગઠિયાનો ટ્રાન્સફર વોરંટ હેઠળ જેલમાંથી કબ્જો મેળવી 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન ટાવર સ્થિત તેમની ઓફિસમાંથી રોકડ તેમજ સોના ચાંદી અને ડાયમંડના ઘરેણાં મળી કુલ 18 કરોડની વધુ મિલકત મળી આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code