1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાસણના પ્રવાસે ગયેલા રાજકોટની સ્કૂલના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડુબી જતા મોત
સાસણના પ્રવાસે ગયેલા રાજકોટની સ્કૂલના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડુબી જતા મોત

સાસણના પ્રવાસે ગયેલા રાજકોટની સ્કૂલના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડુબી જતા મોત

0
Social Share
  • શાળાના શિક્ષકોની બેદરકારી સામે સવાલો ઉઠ્યાં
  • શાળા સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી
  • એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો

રાજકોટઃ શાળાઓના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સરકારે કડક નિયમો બનાવ્યા પણ કેટલીક સ્કૂલો તેનું પાલન કરતી નથી. રાજકોટ શહેરની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓને સાસણ ગીરના પ્રવાસ માટે લઈ જવાયા હતા. ત્યારે સાસણના એક રિસોર્ટના સ્વિમિંગ પુલામાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનામાં શિક્ષકોની બેદરકારી સામે સવાલો ઊઠ્યા છે.

રાજકોટ શહેરની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ધોરણ-8ના વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું મોત નિપજ્યુ હતું. આ ઘટનામાં શિક્ષકો અને ભાજપ આગેવાન સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. તઈ તા. 19 ડિસેમ્બરે 150થી વધુ વિદ્યાર્થીઓ અને 14 શિક્ષકોને સોમનાથ-સાસણ પ્રવાસે લઈ જવાયા હતા, સાસણના એક રિસોર્ટમાં વિદ્યાર્થીઓને જમવા માટે લઈ જવાયા હતા. ત્યારે રિસોર્ટમાં આવેલા સ્વિમિંગ પુલમાં વિદ્યાર્થીઓ નહાવા પડ્યા હતા. જેમાં હાર્દિક બારૈયાનું ડૂંબી જતા મોત નિપજ્યું હતું. શિક્ષકોના ધ્યાનના અભાવે આ દુર્ઘટના બની હતી. હાર્દિકના પિતા મુકેશભાઈએ એકના એક દીકરાને ગુમાવવાનો આઘાત વ્યક્ત કરતાં કડકમાં કડક ન્યાયની માંગ કરી છે. આ ઘટનાના કારણે પરિવારમાં શોકનો માહોલ છે અને સ્કૂલ વ્યવસ્થાપનની જવાબદારી પર પણ  સવાલો ઉભા થયા છે.

રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા નિયમો પ્રમાણે સ્કૂલ-સંચાલક દ્વારા પોલીસ પાસે બંદોબસ્ત માગવાની બદલે માત્ર જાણ કરવામાં આવી હતી. આ સાથે જ RTO કચેરીમાં પણ વાહનની ફિટનેસ ચેક કરાવવામાં ન આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાર્દિકના પિતા મુકેશભાઈએ જણાવ્યું હતું કે, સાસણમાં ઘટના બની છે. જ્યાં મારો દીકરો સ્વિમિંગ પૂલમાં ગયો ત્યારે તેનું એક પણ શિક્ષકે ધ્યાન ન રાખતા આ ઘટના બની હતી. દીકરાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાર્દિક બે બહેનો વચ્ચે એક જ ભાઈ હતો. મારા દીકરાના મોત પાછળ જવાબદાર તમામ લોકોને સજા મળે અને અમને ન્યાય મળે એવી માંગણી કરી છે.

રાજકોટ જિલ્લા કોળી સમાજના આગેવાન અજયભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા અમારા કોળી સમાજના એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. આ  ઘટના ખૂબ જ દુઃખદ છે. કોળી સમાજનો ચિરાગ બુઝાઈ ગયો છે. જેથી આ બાબતે જે કોઈ પણ જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને આ પરિવાર તેમજ કોળી સમાજને ન્યાય મળે તે જરૂરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code