- લાલ ડુંગળીની મબલખ આવકને લીધે યાર્ડમાં થયો ભરાવો
- યાર્ડમાં કાલે ગુરૂવારે સવારથી લાલ ડુંગળીની આવક પર પ્રતિબંધ
- સોમવારથી ખેડૂતો લાલ ડુંગળી વેચાણ માટે લાવી શકશે
મહુવાઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લાલ ડુંગળીનું ઉત્પાદન મહુવા અને તળાજા પંથકમાં થાય છે. અને મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી ખરીદ-વેચાણનું મુખ્ય મથક ગણાય છે. દેશભરના વેપારીઓ મહુવા યાર્ડમાં ડુંગળી ખરીદવા માટે આવતા હોય છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ અને સફેદ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. હાલ લાલ ડુંગળીની વધતી આવકને ધ્યાનમાં રાખીને યાર્ડ દ્વારા ડુંગળીની આવક પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય લેવાયો છે. માર્કેટિંગ યાર્ડે જાહેરાત કરી છે કે આવતીકાલે 18 ડિસેમ્બર સવારે 9:00 વાગ્યાથી લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવશે. આ નિયંત્રણ 21 ડિસેમ્બર રવિવારે સાંજે 4:00 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ લાલ ડુંગળીની આવક ફરી રાબેતા મુજબ ચાલુ રહેશે.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ખૂબ જ આવક થાય છે. ફક્ત ભાવનગર જિલ્લો જ નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. આ ઉપરાંત, મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ ડીહાઇડ્રેશનના કારખાનાઓ આવેલાં છે અને અન્ય રાજ્યોમાંથી પણ વેપારીઓ ડુંગળી ખરીદવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા રહે છે. આ માટે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ ગણવામાં આવે છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં સતત લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ રહી છે, ખાસ કરીને લાલ ડુંગળીની સૌથી વધુ આવક નોંધાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાર્ડે 18 ડિસેમ્બરથી આવક બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન કોઈપણ સંજોગોમાં યાર્ડમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. જો લાલ કાંદાના વાહનો યાર્ડમાં આવ્યા તો તે પરત મોકલવામાં આવશે. આ માટે મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.પી. પાંચાણીએ ખાસ સૂચના આપી છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં 15 ડિસેમ્બરના રોજ લાલ ડુંગળીના 43,372 કટ્ટાના વેચાણ 70 રૂપિયાથી 429 રૂપિયા વચ્ચે થયા હતા. 16 ડિસેમ્બરના રોજ 45,929 કટ્ટાનું વેચાણ 80 રૂપિયાથી 421 રૂપિયા વચ્ચે થયું. આજે, 17 ડિસેમ્બરના રોજ, 40,281 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ 71 રૂપિયાથી 385 રૂપિયા વચ્ચે થયું હતું.


