સુરેન્દ્રનગર, 9 ફેબ્રુઆરી 2026: જિલ્લાના સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગકારોએ પોતાની વિવિધ પડતર માગણીઓના ઉકેલ માટે છેલ્લા ચાર દિવસથી અચોક્કસ મુદ્દતથી હડતાલ પાડી છે. ક્વોરી ઉદ્યોગની હડતાળ સામે સરકાર મક્કમ રહેતા બ્લેક્ ટ્રેપ (કપચી)નું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. તેથી અમદાવાદ, ધોલેરા, વિરમાગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં કેટલાક બાંધકામોને અસર થઇ છે. મટીરીયલ સપ્લાય કરતા 2500થી વધુ ડમ્પરોના પૈડા થંભી ગયા છે.
સાયલા તાલુકાના ક્વોરી ઉદ્યાગકારોએ સરકાર સમક્ષ એવી માગણી કરી છે કે, ક્વોરી ઉદ્યોગ માટે ક્વોરી ઝોન ડિક્લેર કરવો, બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં હાર્ડ મોરમનો ખનીજ માટે ઉમેરો કરવો, ઇસી અને માઇનીંગ પ્લાન રદ કરવા, આરટીઓ વાહન સાથેનું લીન્કેજ દૂર કરવા, બ્લેક ટ્રેપ ખનીજની લીઝોમાં ખાડા માપણી, ખનીજ કિંમત નક્કી કરવા, તેમજ બ્લેક ટ્રેપ ખનીજ લીઝો અને સ્ટોકની માપણી કરવામાં ન આવે, સહિતના વણઉકેલ્યા પ્રશ્નો છે.
ઉદ્યોગકારોને અરજીઓનો ઝડપથી નિકાલ થઇ શકે તે માટે પાંચ હેક્ટર કે તેથી ઓછા વિસ્તારની ગૌણ ખનીજોની લીઝોમાં એન્વાયમેન્ટમાંથી મુક્તિ મેળવવા બાબતની રજૂઆત કરી હતી. આ તમામ મુદ્દાઓ માટે સરકારના પ્રતિનિધી સાથે બેઠક યોજી સમાધાન થયું હતું. તેમજ પડતર મુદ્દાઓ બાબતે રાજય સરકાર નિકાલ કરશે તેવી બાહેધારી સાથે લેખિતમાં આપવામાં આવ્યું હોવા છતાં 2022-24માં થયેલી હડતાલ દરમિયાન હજુ પણ એક પણ પ્રશ્રોનો નિકાલ આવ્યો નથી.જેના કારણે ક્વોરી ઉદ્યોગકારો અને ખાણ ઉદ્યોગકારોએ પાંચ ફ્રેબુઆરીથી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતર્યા છે. ક્વોરી ઉદ્યોગની હડતાલના પગલે અમદાવાદ, બગોદરા, ધોલેરા, ધોળકા, બહુચરાજી, સાણંદ, વિરમગામ, શંખેશ્વર સહિતના 2500થી વધુ ડમ્પરોના પૈડા થંભી ગયા છે. જેના કણરે બ્લેક ટ્રેપનું વિતરણ ઠપ્પ થતાં બાંધકામોને પણ અસર થઇ છે.


