સુરેન્દ્રનગર, 19 માર્ચ 2026: Solar panels collapsed due to storms રાજ્યના હવામાન વિભાગે બે દિવસ વાવાઝોડા સાથે માવઠાની આગાહી કરી છે. ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝિંઝુવાડાના રણ વિસ્તારમાં વાવાઝોડું ફુકાતા મીઠું પકવતા અગરિયાઓની સોલાર પેનલોને ભારે નુકસાન થયું છે. અંદાજે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાના કારણે રણમાં 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી. આ ઘટનાથી દરેક અગરિયા પરિવારને અંદાજે એકથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
કચ્છના નાના રણ તરીકે ઓળખતા ખારાઘોડા અને ઝિંઝુવાડા વિસ્તારમાં લગભગ 2000 અગરિયા પરિવારો મીઠું પકવવાનું કામ કરે છે. આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાને કારણે રણ સૂકું હતું. આથી, સેંકડો અગરિયા પરિવારો નવરાત્રી પહેલા જ રણમાં મીઠું પકવવા પહોંચી ગયા હતા. અને સોલાર પેનલો ફીટ કરીને કામ શરૂ કર્યું હતું અને તેમની મીઠું પકવવાની સિઝન પૂર્ણતાના આરે હતી. ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જોરદાર વાવાઝોડું, પવન અને વરસાદ ખાબક્યો હતો. આનાથી રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
કચ્છના નાનરણ વિસ્તારમાં મીઠુ પકવવા પાણી ખેંચવા માટેની સોલાર પેનલો લગાવવામાં આવેલી છે. આજે વાવાઝોડાને લીધે સોલાર પેનલો ઉડીને તૂટી ગઈ હતી. સોલાર પંપ અને કંટ્રોલરમાં વરસાદી પાણી ઘૂસી જવાથી પણ મોટું નુકસાન થયું હતું. રણમાં અગરિયાઓ માટે સોલાર પેનલ ફીટ કરવાનું કામ કરતા લોકોએ જણાવ્યું કે, જોરદાર પવન અને વાવાઝોડા સાથેના વરસાદથી 20થી વધુ સોલાર પેનલો ફંગોળાઈ ગઈ હતી, જેના કારણે અગરિયાઓને મોટું નુકસાન થયું છે. અગરિયાઓના કહેવા મુજબ, વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડ્યું છે. મીઠામાં નુકસાન થવા ઉપરાંત સોલાર પેનલો પણ ફંગોળાઈ ગઈ છે.


