
- 30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી,
- વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેશે,
- 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમજ તા. 27મી અને 28મી સપ્ટેમ્બરે વાવાઝોડુ ફુકાવવાની પણ શક્યતા છે. આજે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના સાત તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા.જેમાં નવસારી, વલસાડ, કામરેજ, પલસાણા, ઉંમરગામનો સમાવેશ થાય છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજથી 5 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં 27, 28, 29 અને 30 સપ્ટેમ્બર પર ભારે વરસાદની ચેતવણી અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર રીજનમાં 30 સપ્ટેમ્બરએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 સપ્ટેમ્બર ના રોજ વાવાઝોડાની આગાહી છે. વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેવાની શક્યતા છે. માછીમારો માટે હાલ કોઈ એલર્ટ નથી, પરંતુ 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન, પવનની ગતિ કલાકના 40 થી 50 કિલોમીટર અને ઝાપટાં સાથે 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મહારાષ્ટ્રના મધ્ય ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સક્રિય છે. મ્યાનમારના દરિયાકિનારા નજીક અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન આજે લો-પ્રેશર એરિયામાં ફેરવાય તેવી શક્યતા છે, અને ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં આગળ વધશે. આ સિસ્ટમની ગતિવિધિ અને અસરને કારણે, ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.