
- મુખ્યમંત્રીએ સિંદૂર વૃક્ષનું રોપણ કર્યું,
- મિયાવાકી પદ્ધતિથી 12,000 વૃક્ષવાળો ઓક્સિજન પાર્ક બનાવાશે,
- સિંદૂર વનમાં 551 જેટલા સિંદૂર વૃક્ષોનું વૃક્ષારોપણ કરાશે
અમદાવાદઃ આજે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ગુજરાતભરમાં વિવિધ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ઊજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પર્યાવરણદિનની ઊજવણી કરાતા એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા હતા. શહેરના જગતપુર વિસ્તારમાં મુખ્યમંત્રીએ સિંદૂરના વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતુ. સિંદૂર વનમાં 551 જેટલા સિંદૂર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. ચોમાસામાં દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષો વાવવામાં આવતા હોય છે ત્યારે 40 લાખ વૃક્ષો વાવવાના (મિશન ફોર મિલિયન ટ્રી) સંકલ્પનો પણ મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો
અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિનની ઊજવણી કરવામાં આવી હતી. શહેરના જગતપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંદૂર વૃક્ષનું વૃક્ષારોપણ કર્યુ હતુ. વૃક્ષારોપણ બાદ મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા પર્યાવરણ લક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાઓને સાયકલ આપી હતી. સાથે લોકોમાં વૃક્ષારોપણ કરવા અને તેનું જતન કરવા પ્રચાર પ્રસાર માટેના 11 વૃક્ષરથ અને ટેબલોનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના મેયર સહિત પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જગતપુર બ્રિજ પાસે 5 હજાર ચોરસ મીટર જગ્યામાં “સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP)” દ્વારા તેઓનાં સ્વખર્ચે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે, જેને સિંદૂર વન નામ આપવામાં આવશે. આ ઓક્સિજન પાર્કને ડેવલપ કરી તેની પાંચ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. PPP ધોરણે ડેવલોપ કરાનારા આ ઓક્સિજન પાર્કમાં 12 હજાર વૃક્ષો પૈકી 551 વૃક્ષો સિંદૂરનાં વાવવામાં આવશે જેને સિંદૂર વન તરીકે વિકસાવવામાં આવશે અને તે પૈકી બાકી રહેતા ઇન્ડીજીનસ પ્રકારનાં જુદા જુદા વૃક્ષોથી મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવશે.
વર્ષે શહેરમાં 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 40 લાખ વૃક્ષો માટે 21 લાખ વૃક્ષો ખાનગી એજન્સીઓ પાસેથી ખરીદવામાં આવશે અને 5.25 લાખ સ્ક્વેર મીટર જગ્યામાં વૃક્ષો ઉગાડવામાં આવશે. જેના માટે તમામ વોર્ડ અને વિધાનસભા મુજબ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. આનંદ ગાર્ડન નર્સરી, ધરતી નર્સરી એન્ડ ફાર્મ, હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન અને નિલકંઠ લેન્ડસ્કેપ એસોસીએટ્સને આ કામગીરી સોંપવામાં આવી છે.