
- આજી-1માં પાણી ઠલવાયા બાદ ન્યારી-1 ડેમને પણ નર્મદાના નીરથી ભરી દેવાશે
- જુલાઈના અંત સુધી શહેરને પુરતો પાણી પુરવઠો મળી રહેશે
- ન્યારી-1માં પણ 250 એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાશે
રાજકોટઃ શહેરમાં ચોમાસાના આગમન પહેલા શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે શહેરના આજી-1 ડેમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ કરાયો છે. આજી-1 ડેમમાં 250 એમસીએફટી પાણી ઠાલવ્યા બાદ ન્યારી-1 ડેમમાં પણ નર્મદાના નીર ઠલવાશે.
રાજકોટ શહેરમાં પીવાના પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાજ્યના સિંચાઈ વિભાગના પત્ર લખવામાં આવ્યો હતો. તેમજ મ્યુનિના ભાજપના પદાધિકારીઓએ પણ ગાંધીનગરમાં રજુઆતો કરી હતી. આથી સોની યોજના હેઠળ આજી-1 અને ન્યારી ડેમ -1ને નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવાયું છે અને આગામી 10થી 15 દિવસમાં 250 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે આજી-1માં નર્મદાના નીર ઠાલવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ન્યારી-1માં પણ 250 એમસીએફટી પાણી ઠાલવવાનું આયોજન કરાયું છે.
રાજકોટ મ્યુનિના વોટર વર્કસ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજી-1માં હાલ 23.29 ફૂટ એટલે કે 567 એમસીએફટી પાણીનો જથ્થો છે. આજી-1 અને ન્યારી-1માં 31 જુલાઇ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઠાલવવા આગોતરું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સૌની યોજનાનું 2500 એમસીએફટીમાંથી 800 એમસીએફટી પાણી ઉપાડવાનું બાકી હોય મે માસના અંતમાં તે ફાળવવા સિંચાઇ યોજનાને પત્ર લખીને માગણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજી-1માં નર્મદાના નીર ઠાલવવાનું સિંચાઇ વિભાગે શરૂ કર્યું છે. આજી-1માં 250 એમસીએફટી પાણી ઠાલવવાનું હોય આ કામગીરી 10થી 15 દિવસમાં પૂર્ણ થશે. ત્યારબાદ ન્યારી-1માં નર્મદાના નીર ઠાલવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના સિંચાઇ વિભાગને અગાઉ આજી-1 ડેમ માટે 1800 એમસીએફટી પાણી અને ન્યારી-1 માટે 772 એમસીએફટી પાણીની માગણી મ્યુનિ. દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં આજી-1 અને ન્યારી-1માં 1608 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. હાલમાં ન્યારી-1માં 19 ફૂટ એટલે 715 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આજી બાદ ન્યારીમાં પણ પાણી ઠાલવવામાં આવશે.