1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગોળની કિંમતમાં ઘડાડો થતાં ગીર પંથકના રાબડાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા
ગોળની કિંમતમાં ઘડાડો થતાં ગીર પંથકના રાબડાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

ગોળની કિંમતમાં ઘડાડો થતાં ગીર પંથકના રાબડાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

0
Social Share

• પરપ્રાંતમાંથી ગોળની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો
• રાબડાના સંચાલકોને પ્રતિ 20 કિલોએ 500થી વધુ નુકશાની વેઠવી પડે છે
• ગીર વિસ્તારમાં 250 જેટલાં રાબડા ધમધમી રહ્યા છે

જૂનાગઢ: ગીર પંથકમાં કેટલાક વિસ્તારોમાં શેરડીનું સારૂએવું વાવેતર થાય છે. વર્ષો પહેલા આ વિસ્તારમાં સુગર મિલો ધમધમતી હતી. પણ તે કાળક્રમે બંધ થઈ જતાં ખેડુતોની હાલત કફોડી બની હતી, હવે ખેડુતો શેરડીમાંથી ગોળ બનાવવા માટે રાબડાંવાળાને શેરડી વેચી રહ્યા છે. તો કેટલાક ખેડુતોએ પોતે જ ગોળ બનાવવા માટે રાબડાં શરૂ કર્યા છે. હાલ ગીર વિસ્તારમાં 250 જેટલા રાબડા ધમધમી રહ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી પરપ્રાંતના ગોળની આવક શરૂ થતાં ગોળના ભાવમાં ઘટાડો થયો છે. તેથી રાબડાવાળા મુશ્કેલીમાં મુકાયા છે.

ગોળ બજારમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં એક સાથે ગોળની આવક થતા દેશ લેવલે ગોળની કિંમતમાં 100 થી 150 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાતા ગીર પંથકના રાબડાંવાળા મુશ્કેલીમાં મુકાયા છે. અને ખેડૂતોને પણ શેરડીના પુરતા ભાવ મળતા નથી. પરંતુ શેરડીમાંથી ગોળ બનાવતા રાબડાં માલિકોને માટે પ્રતિ 20 કિલો ગોળના ઉત્પાદનમાં 500 થી 700 રૂપિયા નુકસાની વેઠવી પડી રહી છે. આગામી દિવસોમાં કોઈ મોટા સ્ટોકિસ્ટો ગોળની બજારમાં સામેલ થાય તો ભાવમાં જે ઘટાડો આજે થઈ રહ્યો છે. તેમાં થોડી સ્થિરતા વધારા સાથે આવી શકે તેમ છે.

દિવાળી અને ત્યારબાદનો સમય ગીરના ગોળ ઉત્પાદકો માટે ખૂબ સારો માનવામાં આવે છે. દિવાળી બાદ ગીર પંથકમાં 250 કરતાં વધારે ગોળના રાબડાઓ ધમધમતા થાય છે. પરંતુ આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શેરડીનું ઉત્પાદન 15 દિવસથી લઈને એક મહિના સુધી મોડું થયું છે. જેની વિપરીત અસર હવે રાષ્ટ્રીય સ્તરે ઉત્પાદિત થયેલા ગોળના બજાર ભાવ મેળવવામાં રાબડા સંચાલકો અને નાના ઉદ્યોગકારોને ભારે મુશ્કેલી થઈ રહી છે.

ગીર પંથકમાં 250 જેટલા રાબડા ગોળની સિઝનમાં ધમધમતા થાય છે. જેને કારણે ગોળ ઉત્પાદન એસોસિએશન દ્વારા ગોળની સીઝન શરૂ થતા પૂર્વે જ એક ટન શેરડીના બજાર ભાવ 2600 થી 3000 નિર્ધારિત કરી દેવામાં આવે છે. જે સામાન્ય રીતે હોળીના દિવસ સુધી જળવાતા જોવા મળે છે. આ સમય દરમિયાન જો રાષ્ટ્રીય સ્તરે ગોળની માંગમાં વધારો થાય તો આવી સ્થિતિમાં ખેડૂતોને પ્રતિ એક ટન શેરડીના બજાર ભાવોમાં જે આજના દિવસે 2800 થી 3000 ખેડૂતોને મળી રહ્યા છે. તેમાં પણ વધારો થવાની શક્યતા હોય છે. પરંતુ ગોળનું બજાર રાષ્ટ્રીય સ્તરે નીચું ચાલતું હોવા છતાં પણ ખેડૂતોને પ્રતિ એક ટન શેરડીના ભાવોમાં કોઈ કપાત કરવામાં આવતી નથી. જેથી ગોળના ઉત્પાદકોને ભારે નુકસાની થઈ રહી છે.

ગીરમાં ગોળની સિઝન શરૂ થઈ હતી ત્યારે પ્રતિ 20 કિલો લાલ ગોળના 761 રૂપિયા અને પીળા ગોળના 831 રૂપિયા રાબડા સંચાલકોને મળતા હતા. પરંતુ પાછલા 20 દિવસમાં લાલ ગોળમાં 40 રૂપિયા અને પીળા ગોળમાં 171 રૂપિયા નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેને કારણે શેરડીમાંથી ગોળ બનાવતા રાબડા સંચાલકોને નુકસાન થઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code