1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાપરના આડેસર ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બે પૂત્રી અને માતા સહિત ત્રણના મોત
રાપરના આડેસર ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બે પૂત્રી અને માતા સહિત ત્રણના મોત

રાપરના આડેસર ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બે પૂત્રી અને માતા સહિત ત્રણના મોત

0
Social Share
  • ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં 5 વર્ષની બાળકી રમતા-રમતા પડી,
  • બાળકીને બચાવવા જતા તેની માતા માસુમ બાળકી સાથે પડી,
  • પાણીની ટાંકી ઊંડી હોવાથી ડૂબી જતા ત્રણેયના મોત

ભૂજઃ કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

 કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારો બનાવ બન્યો હતો.  ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓના ડૂબી જતા મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ બનાવની વિગત એવી છે કે,  આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણા (આહીર)ના પત્ની રૈયાબેન (ઉ.વ. 28) આજે સવારે 6 વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની દીકરી આરતીબેન અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી. પોતાની નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડી હતી. કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની 3 માસની માસૂમ દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઉંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા. આ બનાવ સમયે રૈયાબેનના પતિ રવાભાઈ એક ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરી પર ગયા હોવાથી ઘરે હાજર ન હતા. મૃતક રૈયાબેનને સંતાનમાં કુલ ત્રણ દીકરીઓ હતી. સદનસીબે, તેમની અન્ય એક દીકરી તે સમયે ઘરમાં સૂઈ રહી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.

આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય માતા-પુત્રીના મૃતદેહોને પાણીના ટાંકામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ હૃદયદ્રાવક ઘટના અકસ્માત છે કે પછી પારિવારિક કારણોસર આપઘાત તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

 

 

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code