રાજકોટ, 24 ફેબ્રુઆરી 2026: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વર્ષો જુના ગેરકાયદે ગણાતા મકાનો તોડી પાડવા છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1489 પૈકી 1224 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અને બાકી રહેતી 300 પ્રોપર્ટીને પણ સાંજ સુધીમાં તોડી પડાશે. મકાનો તૂટતા અનેક પરિવારો બેઘર બન્યા છે. પોતાનો આશરો તૂટતા મહિલાઓ અને બાળકો રડી રહ્યા છે. દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના કહેવા મુજબ દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી 87,000 ચોરસ મીટર સરકારી જગ્યા પર તાત્કાલિક અસરથી નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. નદીના પટ્ટમાં પાકા મકાનો ત્રણથી ચાર માળના બનાવ્યા હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલા હોવાથી જેસીબીથી મકાનો તૂટી સકતા નથી, તેને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે. જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 1224 બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.
આરએમસીના સૂત્રોના કહેવા મુજબ ગઈકાલે સોમવારે વહેલી સવારથી મ્યુનિ. દ્વારા 68 જે.સી.બી., 7 હિટાચી અને કટર, બ્રેકર સહિત 300 જેટલા સાધનો-વાહનો સાથે ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં 1119 મકાનોને જમીન દોસ્ત કરી દેવાયા છે અને આજે મંગળવારે બપોર સુધીમાં બાકીના 370 કે જેમાં ઘણાં બે-ત્રણ માળના મિની બંગલૉ પણ છે તેને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાંજ સુધીમાં કૂલ 1489 મકાનો તોડી પડાશે.


