- વાયરલ બિમારીના ઘેર ઘેર દર્દીઓ,
- ઝેરી મેલેરિયાના પણ 17 કેસ નોંધાયા,
- પાણીજન્ય બીમારીના 724 કેસ નોંધાયેલા
અમદાવાદઃ શહેરમાં વરસાદ વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે મોડી રાતે ઠંડી અને દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને લીધે વાયરલ બિમારીના કેસો વધી રહ્યા છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વકરવા લાગ્યો છે. શહેરમાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 296, સાદા મેલેરિયાના 104 અને ઝેરી મેલેરિયાના 17 કેસ નોંધાયા છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. છેલ્લા 20 દિવસમાં ઝેરી મલેરિયાના 17 કેસ નોંધાયા છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ઝેરી મલેરિયાના 13 કેસ નોંધાયા હતા. ઝેરી મલેરિયાની યોગ્ય સારવાર કરવામાં ના આવે તો આ રોગ જીવલેણ પણ સાબિત થાય છે. આ સિવાય કમળાના 276 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વરસાદ બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થયો છે. જેથી હોસ્પિટલોમાં લાઇનો જોવા મળી રહી છે. મ્યુનિ. સંચાલિક હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં રોજના 3500થી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસો નોંધાઈ રહ્યા છે.
એએમસીના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ચાલુ સપ્ટેમ્બર મહિનામાં 1 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર એટલે કે છેલ્લા 20 દિવસમાં મચ્છરજન્ય કેસોમાં ડેન્ગ્યુના 296, સાદા મેલેરિયાના 104 અને ઝેરી મેલેરિયાના 17 કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય કેસોમાં ઝાડા ઉલ્ટીના 186, કમળાના 276, ટાઈફોઈડના 259 કેસ નોંધાયા છે. જ્યારે શહેરના વટવા, મણીનગર અને દાણીલીમડા વિસ્તારમાં એક-એક કોલેરાનો કેસ નોંધાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મચ્છરજન્ય રોગચાળો વધે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી સરકારી તેમજ ખાનગી જગ્યામાં તપાસ કરવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળો ના ફેલાય તેના માટે પાણીના નમૂના પણ લેવામાં આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બર સુધીમાં 35,221 કલોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 25 જેટલા પાણીના નમૂના ફેલ ગયા છે.


