- ચાર શ્રમિક યુવાનો મજુરી કામ પૂર્ણ કરીને રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા
- ભાઈ સમાજના ચાર યુવાનોના મોતથી ગમગીની વ્યાપી ગઈ
- બુલેટ બાઈકસવારને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
હિંમતનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઈડર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, ગત રાતના સમયે ઈડર નજીક હાઈવે પર ઈકોકાર, રિક્ષા અને બુલેટ બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં પ્રવાસ કરી રહેલા ચાર શ્રમિકોના મોત નિપજ્યા હતા. ઈડરના ભોઈવાડા વિસ્તારના એક જ ફળિયામાં રહેતા ચાર શ્રમિક યુવાનોના મોતથી સમગ્ર ભોઈ સમાજમાં ભારે શોક અને દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ઈડર હાઈવે પર રેવાસ ગામ પાસે સમાજ વાડી નજીક પૂરફાટ ઝડપે ઈકોકારએ રિક્ષા અને બુલેટ મોટલસાયકલસવારને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. રિક્ષામાં સવાર ચાર શ્રમિકોના મોત નિપજ્યા હતા. મૃતક ચારેય યુવાન મજૂરીકામ પૂર્ણ કરીને રાત્રે રિક્ષામાં સવાર થઈને પોતાના ઘરે ઈડર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. મૃતકોના નામ સચિન બાબુભાઈ ભોઈ, અનિલ રમેશભાઈ ભોઈ, શૈલેષ નારણભાઈ ભોઈ અને રાજેશ ચંદુભાઈ ભોઈ (તમામ રહે.ઇડર ભોઈ વાડા) હોવાનું જાણવા મળ્યુ છે. આ અકસ્માતમાં બુલેટ સવારને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈડર નજીક હાઈવે પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતના બનાવમાં રિક્ષામાં સવાર ચાર પૈકી સચિન બાબુભાઈ ભોઈ અને અનિલ રમેશભાઈ ભોઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે યુવાન, શૈલેષ નારણભાઈ ભોઈ અને રાજેશ ચંદુભાઈ ભોઈને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન શૈલેષભાઈનું ઈડર સિવિલ ખાતે મોત નિપજ્યું હતું. જ્યારે રાજેશભાઈને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતુ. આ ત્રિપલ અકસ્માતમાં ઈકો અને રિક્ષાની ટક્કરથી એક બુલેટ સવાર પણ ઘાયલ થયો હતો. અકસ્માતમાં ઘવાયેલો બુલેટસવાર યુવાન, જે બડોલી ગામનો રહેવાસી છે, તેને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલ તે સારવાર બાદ પોતાના ઘરે પરત ફર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતની જાણ થતાં જ રેવાસ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા. બીજી તરફ, ઈડર પોલીસને જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઈકો કારના ચાલક સામે અકસ્માતનો ગુનો (IPC કલમ 304A) નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ભોઈ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આ યુવાનોના મોતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.


