1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થરાદના માંગરોળ નજીક હાઈવે પર ટ્રક સર્વિસ રોડ પર ખાબકી, બેને ઈજા
થરાદના માંગરોળ નજીક હાઈવે પર ટ્રક સર્વિસ રોડ પર ખાબકી, બેને ઈજા

થરાદના માંગરોળ નજીક હાઈવે પર ટ્રક સર્વિસ રોડ પર ખાબકી, બેને ઈજા

0
Social Share
  • પૂરફાટ ઝડપે આવતા ટ્રક ટ્રેલરે સ્ટિયરિંગ પરના કાબુ ગુમાવ્યો
  • બનાવની જાણ થતાં અકસ્માતને નિહાળવા લોકોની ટોળાં ઉમટ્યાં
  • ભારતમાલા હાઈવે પર અકસ્માતના વધતા બનાવો

થરાદઃ ભારતમાલા હાઈવે પર પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે  થરાદના માંગરોળ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાંચોર તરફથી આવી રહેલી એક ટ્રક અનિયંત્રિત થઈને સીધી સર્વિસ રોડ પર ખાબકી હતી. આ દુર્ઘટનામાં ટ્રક ચાલક અને તેમની સાથે મુસાફરી કરી રહેલા અન્ય વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માતનો બીજો બનાવ રાધનપુર-પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. રાધનપુર શહેરના પરા વિસ્તારમાં રહેતો યુવક બાઈક લઈને રાધનપુર પાલનપુર હાઇવે પરથી પસાર થતો હતો તે દરમિયાન વાહનની ટક્કર વાગતાં તેનું મોત નિપજ્યું હતું.

અકસ્માતના પ્રથમ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભારતમાલા હાઈવે પર સાંચોર તરફથી આવી રહેલી એક ટ્રક અનિયંત્રિત થઈને સીધી સર્વિસ રોડ પર ખાબકી હતી.  ટ્રક ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર બંને ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. આ ઘટના ચિંતાજનક એટલા માટે પણ છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી ભારતમાલા હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે સલામતીની દ્રષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય બની રહ્યો છે.

અકસ્માતના બીજા બનાવની વિગતો એવી છે કે, રાધનપુર શહેરના પરા વિસ્તારમાં રહેતો યુવક બાઈક લઈને રાધનપુર પાલનપુર હાઇવે પરથી પસાર થતો હતો તે દરમિયાન વાહનની ટક્કર વાગતાં તેનું મોત નિપજ્યું હતું. રાધનપુર પરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ રામભાઈ પંચાલ રવિવારના બપોરના સમયે કામ અર્થે પોતાના બાઇક પર રાધનપુર પાલનપુર હાઇવે પરથી પસાર થતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન દ્વારા બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલક યુવક હવામાં ફંગોળાઈ રોડ ઉપર પટકાતાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી.અકસ્માતની જાણ થતા આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ લોહી લુહાણ હાલતમાં યુવકને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરો દ્વારા તપાસ કરતાં તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. યુવકના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતાં મૃતકના સગા સબંધીઅો રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code