
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ગુજરાતની પરિવારના વાહનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા દૂર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના ઝાંસી-કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. મૃતકોમાં ગારિયાધાર અને ભાલવાવના ચાર લોકોનો સમાવેશ થાય છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત યુવતીને ઝાંસીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. મૃતકોમાં ગારિયાધારના રૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેન જ્યારે ભાલવાવના જગદીશભાઈ અને કૈલાશબેનનો સમાવેશ થાય છે. જ્યારે દીકરી ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રયાગરાજથી પાછો આવતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે જણાવ્યું કે ગુજરાતના પરિવારની કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને એકાએક ડ્રાઈવરે સ્ટીયરિંગથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનો દાવો છે.