રાજપીપળા, 19 માર્ચ 2026: Uttarvahini Narmada Parikrama begins grandly નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યોજાય છે. આજથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. પુણ્ય સલિલા’ મા નર્મદાના પાવન તટ પર ચૈત્ર માસમાં થતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. સાધુ-સંતો, ભાવિકો-પરિક્રમાર્થીઓએ પ્રાત:કાળે મા રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી ‘નર્મદે હર’ના જય ઘોષ સાથે પરિક્રમાનો પ્રારંભ કર્યો છે.
નર્મદામાં ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’નું વિશેષ મહત્ત્વ છે, ત્યારે વૃદ્ધો, બાળકો, મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અલૌકિક આધ્યાત્મિક યાત્રાનો અનુભવ કર્યો છે. ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે જ આજે 10 હજાર કરતાં વધુ પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યાં છે. કીડી-મકોડી ઘાટ ખાતે રામપુરા, માંગરોલથી કલવાડા સહિત ઠેર-ઠેર સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે. આ સાથે પરિક્રમાર્થીઓ માટે ઠંડા પાણી, લીંબુ સરબત, છાસ વિતરણ સહિતની સેવા લોકો કરી રહ્યા છે.
પરિક્રમા દરમિયાન શહેરાવ-તિલકવાડા ઘાટ પર કામ ચલાઉ બ્રિજની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રેંગણથી રામપુરા ઘાટ વચ્ચે બોટ સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા ગોવાથી સ્પેશિયલ 18 બોટ મંગાવવામાં આવી છે. જેમાં બોટ સેવાના સંચાલનને લઈને સ્થાનિક નાવિકો મળીને કુલ 60થી 70 ભક્તો એક સાથે બોટમાં બેસી શકશે. ચૈત્ર મહિનામાં ગરમી હોય છે, ત્યારે ભક્તોને ગરમી ન લાગે એ માટે સ્પેશિયલ ગોવાથી છત વાળી બોટ મંગવામાં આવી છે. આ સ્પીડ બોટ દ્વારા રેંગણથી રામપુરા ઘાટ માત્ર 6 મિનિટમાં પહોંચી શકાશે, સામાન્ય રીતે ફિશિંગ બોટમાં 20 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. હાઈસ્પીડ બોટમાં નર્મદા પોલીસ અને SDFRના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે.
દર વર્ષે ભાવિક ભક્તોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે હંગામી અને કાયમી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. જેમા રહેવા અને વિશ્રામ માટે વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં ખાટલા, ગાદલા, ઓશીકા અને બેડશીટ સાથેની બેઠક વ્યવસ્થા કરાઈ છે. પરિક્રમામાં ભરૂચ, નર્મદા અને વડોદરા રેન્જના અન્ય જિલ્લામાંથી પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


