અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: રાજ્યના મહાનગરોમાં પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચકતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓને તકેદારીના પગલાં લેવાની સુચના આપવામાં આવી છે. તેમજ શહેરમાં પાણીનાં જગ (મોટી બોટલો)ના સપ્લાયરો માટે પાણીનાં પ્યોરિફિકેશન થાય તેના માટે ક્લોરીનેશન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમના ધંધાકીય એકમોમાં ક્લોરિફિકેશન થાય તે પ્રકારનું ઇન્સ્ટોલેશન કરાવવાનું રહેશે. જો આ પ્રકારનું ક્લોરીન વગરનું કોઇ પાણી સપ્લાય થતું હશે તો એએમસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા સંજોગોમાં તેમનાં પાણી સપ્લાયરોના એકમોને સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.
પાટનગર ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યા બાદ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ બન્યું છે. અને તકેદારીના પગલારૂપે શહેરના તમામ 170 જગનાં સપ્લાયરોને એકત્રિત કરીને મિટીંગ યોજવામાં આવી હતી. પાણીના જગનો વેપાર કરતા સપ્લાયરોને પાણીનું ક્લોરિનેશન કેવી રીતે કરવું તેની પણ સમજ આપવામાં આવી હતી., બે કે ત્રણ દિવસમાં પાણીનાં ક્લોરીનેશન ઇન્સ્ટોલ કરવાની સુચના આપવામાં આવી હતી. આ નિયમ લુઝ સપ્લાય થતી પાણીની એક લિટરની બધી જ કંપનીઓને પણ લાગુ પડશે અને પેકેજીંગ વોટરમાં આ નિયમ લાગુ પડશે નહી.
આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોઇપણ પ્રકારનો રોગચાળો ફેલાય તે પહેલાં જ તેની આગોતરા સાવચેતી લેવામાં આવે તો રોગચાળામાં રાહત રહેતી હોય છે અને રોગચાળો આગળ વધતો અટકે છે. જેથી શહેરમાં આવેલાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો આવેલા છે અને જ્યાં પાણીનું વિતરણ થાય છે ત્યાં હાલમાં તેનાં પી.એચ અને ક્લોરીનેશનની તપાસ કરીને આગળ મોકલવામાં આવે છે. આવનારા સમયમાં કેટલાંક પેરામીટર્સ બદલવામાં આવશે, જેમાં ઇકોલાઇ બેક્ટેરિયા કે પાણીની અંદરનાં ટોક્સિનને વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન પર માપવામાં આવશે. જેને પરિણામે જો તેમનાં પાણીમાં કોઇ શંકા લાગે તો ત્યાં પાણીનાં વિતરણની તરત જ અટકાયત કરવામાં આવશે.


