ગાંધીનગર, 4 ફેબ્રુઆરી 2026: ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે, કે, શાળાઓ શરૂ થતાં પહેલા જ 1લી એપ્રિલથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે. જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે મળેલી મંત્રી મંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. આ માટે સરકારી કચેરીઓમાં મોટી લાઈનો લાગતી હતી અને વાલીઓને એડમિશનની ચિંતા સાથે દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. તેના પરિણામે 70થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે અને લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 1 એપ્રિલથી વિવિધ યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો ઓનલાઇન મળતા શરૂ થઈ જશે. કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.


