1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં સિટીબસના અકસ્માત બાદ કડક પગલાં લેવાતા 20 ડ્રાઈવરોએ રાજીનામાં આપ્યા
રાજકોટમાં સિટીબસના અકસ્માત બાદ કડક પગલાં લેવાતા 20 ડ્રાઈવરોએ રાજીનામાં આપ્યા

રાજકોટમાં સિટીબસના અકસ્માત બાદ કડક પગલાં લેવાતા 20 ડ્રાઈવરોએ રાજીનામાં આપ્યા

0
Social Share
  • મ્યુનિએ સિટીબસમાં ડ્રાઈવરોની કેબીનમાં CCTV કેમેરા મુકવાનો નિર્ણય લીધો
  • મ્યુનિએ એજન્સીને તાત્કાલિક નવા ડ્રાઈવરોની ભરતી કરવા સુચના આપી
  • ડ્રાઈવરોના રાજીનામાંથી સિટીબસ સેવાને અસર

 રાજકોટ:  શહેરમાં સિટીબસના ચાલકે પૂર ઝડપે અને બેદરકારી બસ ચલાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતને લીધે શહેરીજનોમાં ભારે રોષ ઊભો થયો હતો. ત્યારે આવા અકસ્માતોના બનાવ ન બને તે માટે મ્યુનિ.કોર્પોરેશને કડક નિર્ણય લઈને સિટીબસના ચાલકોની કેબીનમાં સીસીટીવી મુકવાનો નિર્ણય લીધો હતો. આથી નારાજ થયેલા 20 જેટલા સિટીબસના ચાલકોએ રાજીનામાં આપી દેતા સિટીબસ સેવાને અસર પડી રહી છે. બીજી બાજુ મ્યુનિ.એ કોન્ટ્રાક્ટ કંપનીને નવા ડ્રાઈવરોની ત્વરિત ભરતી કરવા સુચના આપી દીધી છે.

રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક તાજેતરમાં સર્જાયેલી બસ દુર્ઘટનામાં 4 નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હતો. આ બનાવમાં સિટીબસના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. આવા અકસ્માતો ન સર્જાય તે માટે મ્યુનિના તંત્ર દ્વારા પણ ડ્રાઇવર કેબિનમાં સીસીટીવી કેમેરા મુકવા સહિતના આકરા પગલાં લેવાનું જાહેર કરવામાં આવતા ડ્રાઈવરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટના બાદ લગભગ 15 જેટલા ડ્રાઈવરોએ અચાનક જ નોકરીમાં આવવાનું બંધ કરી દીધું હતુ. એટલું જ નહીં ફોન પર કે રૂબરૂ પણ સંપર્ક નહીં થતા વ્યવસ્થા ખોરવાય તેવી પણ શક્યતા ઉભી થઇ છે. ત્યારબાદ સિટીબસના 20 ડ્રાઈવરોએ રાજીનામાં આપી દીધા હતા.જેને લઈ મ્યુનિ. દ્વારા એજન્સીને તાત્કાલિક નવી ભરતી કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટમાં સિટીબસના 20 ડ્રાઈવરોના રાજીનામાંને લીધે સિટીબસ સેવાને અસર પડી છે. આ મામલે મ્યુનિનું તંત્ર પણ મુંઝવણમાં મુકાઈ ગયું છે. આવું પહેલી વાર બન્યું છે કે એકસાથે 20થી વધુ ડ્રાઇવરો દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હોય. મ્યુનિ દ્વારા આ સમગ્ર મામલે એજન્સીને અન્ય ડ્રાઇવરોને શોધવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સીટી બસમાં લાગેલા કેમેરાના અપગ્રેડેશન માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીટી બસોમાં હાલ કેમેરા લગાવાયેલા છે તેમાં બસ ડ્રાઇવરોની મુવમેન્ટ યોગ્ય રીતે કેમેરામાં કંડારાતી ન હોય, કેમેરાની સિસ્ટમને અપગ્રેડેશન કરવા મનપાએ નિર્ણય લઇ આ અંગેની કાર્યવાહી શરૂ કરી છે. હાલ સીટી બસોના કેમેરામાં માત્ર સીમીત વિઝન દર્શાય રહ્યું હોય તમામ સીટી બસોમાં આ કેમેરાની સિસ્ટમને અપગ્રેડેશન કરવામાં આવશે તેમ રાજકોટનાં મેયરે પણ જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code