1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાળિયાદના સાકરડી ગામ પાસે હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત
પાળિયાદના સાકરડી ગામ પાસે હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત

પાળિયાદના સાકરડી ગામ પાસે હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મોત

0
Social Share
  • રોડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ લકઝરી બસ અથડાઈ,
  • રાણપુરની રત્નકલાકાર મહિલાઓ ધાર્મિક પ્રવાસેથી પરત ફરી રહી હતી,
  • અકસ્માતમાં 20ને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા

બોટાદઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામ નજીક હાઈવે પર આજે વહેલી સવારે વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે 20થી વધુ લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના પાળિયાદના સાકરડી ગામ નજીક હાઈવે પર  આજે વહેલી સવારે સકઝરી બસ અને ટ્રક વચ્ચે  અકસ્માત સર્જાયો હતો. પંકચર પડતા રોડ સાઈડ પર પાર્ક કરેલી ટ્રક પાછળ ધડાકાભેર લકઝરી બસ અથડાતા લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા ત્રણ પ્રવાસીના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 20થી વધુ પ્રવાસીઓને ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં મૃતકોનાં નામ, વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ  (તમામ રહે ઉમરાળા ગામ, તા.રાણપુર) હોવાનું જાણવા મળ્યુ છે. લક્ઝરી બસમાં 50થી 60 જેટલા પ્રવાસીઓ સવાર હતા. આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

હીરાના કારખાનાના માલિક મૃતક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલના ભાઇ જેસાભાઈ ધીરુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે અકસ્માતમાં મારા ભાઇ સહિત 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. બીજા લોકોને માથામાં અને હાથેપગે વાગ્યું છે. લકઝરી બસમાં 50થી 60 જેટલા લોકો હતા. આ લોકો રવિવારે સવારે સાત વાગે ખોડલધામ કાગવડ અને વીરપુરના પ્રવાસે જવા નીકળ્યા હતા. અકસ્માતમાં થયો એમાં મારા ભાઇ પણ હતા, જે હીરાનું કારખાનું ચલાવતા હતા. તેઓ કારખાનામાં કામ કરતી રત્નકલાકાર મહિલાઓને ફરવા લઇ ગયા હતા. તેઓ પ્રવાસેથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. બસમાં કારખાનામાં કામ કરતા લોકો અને મેનેજર હતા, જેમાં મોટા ભાગની મહિલાઓ હતી તેમજ સાત-આઠ છોકરા પણ હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળિયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ પાળિયાદ નજીક હાઈવે પર પંચર પડવાના કારણે એક ટ્રક ઊભી હતી. એ સમયે લક્ઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code