1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉં વેચવા 33.863 ખેડૂતોએ નોંધણી કરાવી
ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉં વેચવા 33.863 ખેડૂતોએ નોંધણી કરાવી

ગુજરાતમાં ટેકાના ભાવે ઘઉં વેચવા 33.863 ખેડૂતોએ નોંધણી કરાવી

0
Social Share
  • ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ.2.425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની ખરીદી કરાશે
  • 01લી માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે
  • રાજ્યમાં કુલ 214 ખરીદ કેન્દ્રો ઉભા કરાશે

ગાંધીનગરઃ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે. જેના ભાગરૂપે તા. 13 જાન્યુઆરી 2025ની સ્થિતિએ રાજ્યભરમાંથી 33.863  ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કાર્યરત છે.

રવિ માર્કેટીંગ સીઝન 2025-26  અંતર્ગત આગામી તા. 01લી માર્ચ 2025થી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા 194 ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહશક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે 20 નવા ખરીદ કેન્દ્રો એમ કુલ 214  ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.

આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12,  8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.

વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઈન નંબર 85111 71718  તથા 85111 71719 ઉપર સંપર્ક કરવા, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017થી નિગમના FPP પોર્ટલ ઉપર નોંધણી કરાયેલ 2.58  લાખથી વધુના ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગેની માહિતી SMS મારફતે કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code