ગાંધીનગર, 27 એપ્રિલ 2026: Gap in Narmada Canal જિલ્લાના દહેગામ નજીક રાયપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં જોખમી ગાબડું પડતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાયપુર સાયફનથી માત્ર 25 મીટરના અંતરે જ કેનાલના ઢાળ અને પાળામાં મોટું બાકોરું પડી ગયું છે. અને પાણીના પ્રવાહને લીધે કેનાલમાં પડેલુ બાકોરૂ મોટું થઈ રહ્યું છે. જોકે તંત્ર દ્વારા પાણીનો પ્રવાહ ઓછો થતાં જ મરામતનું કામ હાથ ધરવામાં આવશે. એવી હૈયાધારણ આપવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ-નરોડા રોડ પર રાયપુર ગામ નજીક નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. રાયપુર સાયફનથી લગભગ 100 મીટર દૂર આ ગાબડું પડતાં કેનાલના ઢાળ અને પાળાને નુકસાન થયું છે. પાણીના તેજ પ્રવાહને કારણે ગાબડું સતત મોટું થઈ રહ્યું છે, જેનાથી મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. કેનાલના કિનારે મોટો ખાડો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જે વધુ તૂટવાની શક્યતા છે. આ વિસ્તાર ખેતી માટે મહત્વનો હોવાથી, ખેડૂતોને ચિંતા છે કે જો ગાબડું વધુ મોટું થશે તો પાણી લીકેજ થવાથી ખેતરોને નુકસાન થઈ શકે છે.
સ્થાનિક ખેડૂતો અને રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. જો સમયસર ગાબડું પૂરવામાં નહીં આવે, તો તે વધુ મોટું બની શકે છે અને આસપાસના વિસ્તારો માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે, ખાસ કરીને વરસાદી મોસમ નજીક હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ સમગ્ર મામલે તંત્રની કામગીરીની રાહ જોવાઈ રહી છે. જો સમયસર યોગ્ય સમારકામ નહીં થાય, તો આ ગાબડું મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સ્થાનિકોમાં ભય અને તંત્ર પ્રત્યે અસંતોષનો માહોલ પ્રવર્તી રહ્યો છે.


