
- ભાવનગર જિલ્લામાં 36 કલાકમાં હત્યાના ત્રણ બનાવ બન્યા
- પાડોશીએ ઝગડતા દંપત્તીને છૂટા પાડવાના પ્રયાસ કર્યો
- અમારો અંગત મામલો છે, વચ્ચે કેમ પડે કહેતા જ આરોપીએ કૂહાડીના ઘા ઝીંક્યા
ભાવનગરઃ જિલ્લાના સિહોર નજીક નેસડી ગામે નજીવી વાતે પતિ-પત્નીની હત્યાનો બનાવ બન્યો છે. શ્રમિક દંપત્તી ઝગડતા હતા. તેથી પાડોશી પતિ-પત્નીને છૂંટા પાડવા માટે આવ્યા હતા. ત્યારે દંપત્તીએ પાડોશીને કહ્યું કે આ અમારો અંગત ઝગડો છે. તમે વચ્ચે કેમ પડો છો, એવું કહેતા પાડોશી અમિત નાયકા નામનો શખસ કૂહાડી લઈને આવ્યો હતો. અને કૂહાડીના ઘા ઝીંકીને પતિ-પત્ની હત્યા કરી હતી. આ બનાવની જાણ થતાં ડીએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને નાસી ગયેલા શખસની પકડવાની તજવીજ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સાવ કથળી ગઈ હોય એમ છેલ્લા 36 કલાકમાં હત્યાના ત્રણ બનાવો બન્યા છે. એક દિવસ પહેલાં ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસ કર્મચારીના પુત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જેના આરોપીઓ હજીપણ પોલીસ પકડથી દૂર છે, ત્યાં ગત રાત્રે સિહોરના નેસડા ગામે પતિ-પત્ની હત્યાનો બનાવ બન્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, સિહોરના નેસડા ગામે રહેતા શ્રમિક પતિ-પત્ની વચ્ચે બબાલ થઇ રહી હતી, બન્ને પતિ-પત્ની ઝગડતા હતા ત્યારે તેમને છૂટા પાડવા માટે પાડોશીએ વચ્ચે દખલગીરી કરી હતી. ત્યારે દંપતીએ કહ્યું કે, ‘તું અમારા ઝઘડામાં વચ્ચે ન પડીશ’ જેથી ઉશ્કેરાયેલા પાડોશીએ બાજુમાં પડેલી કુહાડી લઇને બંનેને રહેંસી નાખ્યા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મુળ નવસારીના રામુભાઇ હળપતિ અને તેમના પત્ની લક્ષ્મીબહેન હળપતિ સિહોરના નેસડા ગામે રહીને વિજયભાઈ ખમળના ઇટોના ભઠ્ઠામાં તેમજ ખેત મજૂરીનું કામ કરતા હતા. ગત રાત્રે પતિ-પત્ની વચ્ચે કંઇક ઘરેલુ સમસ્યાને લઇને બોલાચાલી થઇ રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા અમિત નાયકાએ દખલગીરી કરી હતી. દંપતીના ઝઘડામાં અમિક નાયકાએ દખલગીરી કરતાં રામુ હળપતિએ તેને દુર રહેવાનું કહ્યું હતું, જેથી અમિત નાયકાએ પિત્તો ગુમાવીને બાજુમાં પડેલી કુહાડી લઇને રામુના ગળા પર ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. પોતના પતિને મારતાં જોઇ લક્ષ્મીબેન વચ્ચે પડતા અમિતે લક્ષ્મીબહેનને પણ ગળાના ભાગે અસંખ્ય કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આમ પતિ-પત્ની ઘાતકી હત્યા કરીને અમિત ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
આ બનાવની જાણ વિજયભાઈ ખમળને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અન્ય મજુરો પાસેથી વિગતો મેળવી તુરંત 108 અને પોલીસને જાણ કરી હતી. ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સિહોર પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો. પોલીસે 108 મારફતે પતિ-પત્નીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.