1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીની હત્યા કરી ફરાર આરોપી પતિ પકડાયો
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીની હત્યા કરી ફરાર આરોપી પતિ પકડાયો

ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીની હત્યા કરી ફરાર આરોપી પતિ પકડાયો

0
Social Share
  • લગ્નના દિવસે ભાવિ પત્ની સોનીની હત્યા કરીને આરોપી નાસી ગયો હતો,
  • પાનેતર અને રૂપિયાની બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી,
  • 8 મહિનાથી બન્ને લિવ-ઈનમાં રહેતા પરિવારે લગ્ન નક્કી કર્યા હતા,

ભાવનગરઃ શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં લગ્નના દિવસે ભાવી પત્નીની લોખંડનો પાઈપ મારીને હત્યા કરીને ભાવી પતિ ફરાર થઈ ગયો હતો. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને આરોપી કથિત વરરાજા સાજન બારૈયા ધરપકડ કરી છે.

આ બનાવની વિગત એવી હતી કે, ભાવનગરમાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમત રાઠોડની પુત્રી સોનીબેનની ગત શનિવારે સવારે તેના જ ઘરમાં ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારો ભાવિ પત્નીને લોખંડનો પાઈપ મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સૌથી દુઃખદ વાત એ છે કે સોનીબેનના લગ્ન લેવાના હતા. જે ઘરમાં લગ્નના ગીત અને શરણાઈના સૂર ગુંજવાના હતા, ત્યાં આક્રંદ અને માતમ છવાઈ ગયો હતો. આ હત્યા પાછળનું પ્રાથમિક કારણ પાનેતર અને રૂપિયાની બાબતે થયેલી બોલાચાલી હતી. સામાન્ય ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આવેશમાં આવેલા વરરાજા સાજને દુલ્હન સોનીબેન પર હુમલો કર્યો હતો.

આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકે મૃતક યુવતી સોનીના ભાઈ વિપુલ હિંમતભાઈ રાઠોડે (ઉં.વ.25) નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની 22 વર્ષીય બહેન સોનીને છેલ્લા આઠ મહિનાથી સાજન ઉર્ફે ભૂરો ખન્નાભાઈ બારૈયા (રહે.પ્રભુદાસ તળાવ, ભાવનગર) સાથે પ્રેમસંબંધ હતો અને બંને સાથે (લિવ-ઈન) રહેતા હતા. આ સંબંધને સ્વીકારી પરિવારે બન્નેના લગ્ન 15 નવેમ્બર, 2025ના રોજ નક્કી કર્યા હતા અને કંકોત્રી પણ છપાવી હતી.

હાલ પોલીસે આરોપી સાજન બારૈયાને પકડી પાડીને હત્યા પાછળના ચોક્કસ કારણો, હત્યાની રીત અને તે ક્યાં છુપાયો હતો તે સહિતના તમામ પાસાઓની વધુ કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે. નોંધનીય છે કે, લગ્નના પવિત્ર સંબંધમાં બંધાતા પહેલા જ ભાવિ પતિ દ્વારા ભાવિ પત્નીની હત્યાની આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code