1. Home
  2. ગુજરાતી
  3. મહાકુંભ મેળામાં રાજકોટની એક સંસ્થા 50 હજાર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરશે
મહાકુંભ મેળામાં રાજકોટની એક સંસ્થા 50 હજાર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરશે

મહાકુંભ મેળામાં રાજકોટની એક સંસ્થા 50 હજાર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરશે

0
Social Share
  • રણછોડદાસજીબાપુ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટનો અનોખો સેવાયજ્ઞ
  • પ્રયાગરાજ કુંભમેળામાં કરશે 50 હજાર મોતિયાનાં ફ્રી ઓપરેશન
  • 10 હજાર લોકોના ચશ્માનાં નંબર તપાસી

ગુજરાતની પ્રત્યેક વ્યકિતમાં સેવાગુણ જોવા મળતો હોય છે. પૂર હોય કે દુકાળ, ધરતીકંપ હોય કે માનવસર્જિત આફત, ગુજરાતીઓએ હમેશા દુઃખના સમયમાં સાથ આપ્યો હોય એવા અનેક કિસ્સાઓ છે. ત્યારે આ સેવાભાવીઓ સેવા માટેની કોઈ તક છોડતા નથી. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આ વર્ષે 13 જાન્યુઆરી, 2025થી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાકુંભ મેળામાં 45 દિવસની અંદર દેશ-વિદેશમાંથી કરોડોની સંખ્યામાં લોકો આવશે, તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મહાકુંભ મેળાના આયોજનમાં સૌરાષ્ટ્રનું કેપિટલ રંગીલું રાજકોટ એક અનેરું યોગદાન આપવા જઈ રહ્યું છે. જે મુજબ રાજકોટનાં એક સેવાભાવી સંસ્થા  રણછોડદાસજીબાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા  મહાકુંભ મેળાને લઇ એક મહાસંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રસ્ટ દ્વારા નેત્રકુંભ થકી 50,000 દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવશે. આ માટે 12 ડોક્ટર સહિત 100 સ્વયંસેવકોની ટીમ ઉત્તરપ્રદેશ ખાતે પહોંચી ચુકી છે અને સેવાના સંકલ્પને શરૂ કરી દીધો છે.

આ  ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે હોસ્પિટલ ચલાવવામાં આવે છે. અને આ હોસ્પિટલ દ્વારા નહિ માત્ર ગુજરાતમાં પરંતુ રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ, મહારાષ્ટ્ર સહિત અલગ-અલગ રાજ્યોમાં આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજ થી 20 કિલોમીટર દૂર ગોહનીયા ખાતે  50,000 લોકોનું ઓપરેશન  કરવામાં આવશે. સંસ્થાના જણાવ્યા અનુસાર 22 ડિસેમ્બરથી નેત્રયજ્ઞ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે આગામી 31 માર્ચ, 2025 સુધી ચાલુ રહેનાર છે. આધુનિક મશીન મદદથી સારા  નેત્રમણીનો  ઉપયોગ કરી સારામાં સારા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન કદાચ કોઈ દર્દી બહાર કરાવે તો તેની પાછળ ઓછામાં ઓછા 20,000 રૂપિયાનો ખર્ચ થઇ શકે છે, જે આ સંસ્થા દ્વારા  નિઃશુલ્ક કરી  આપવામાંઆવી રહ્યો છે.

વિશેષ વાત એ છે કે જે દર્દીનું મોતિયાનું ઓપરેશન થઇ જાય પછી તેની પાસે પાસેથી પૈસા નહિ, પણ 10 દર્દી માગવામાં આવે છે. જેથી બીજાની આંખોની પણ સારવાર થાય અને તેઓ તમામ કામ કરી શકે.  રણછોડદાસ બાપુનું એક સૂત્ર હતું કે, મરીઝ મેરે ભગવાન હે, મુજે ભૂલ જાઓ લેકિન નેત્રયજ્ઞકો મત ભૂલના. આ જ વાતને આગળ વધારી રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના અલગ-અલગ રાજ્યમાં મોતિયાના ઓપરેશન માટે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  રાજકોટમાં દર વર્ષે 75થી 80 હજાર દર્દીના આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, અત્યારે પણ રાજકોટમાં આ નેત્રયજ્ઞ ચાલુ જ છે.

સમાજમાં એવા પણ અનેક લોકો છે કે તેમણે ચશ્માં આવી ગયા છે. પરંતુ નાણાના અભાવે કે પછી જાણકારીના અભાવે ડોક્ટર પાસે જતા નથી. ત્યારે તેવા લોકોને ધ્યાનમાં રાખીને કુંભમેળામાં મિનિમમ 5000 લોકોને નિઃશુલ્ક ચશ્મા પણ આપવાનું આયોજન  કરવામાં આવ્યું છે.  કુંભમેળામાં પણ જે લોકો આવશે ત્યાં નેત્રકુંભમાં  રોજના 10,000 લોકોના ચેકઅપ કરવામાં આવશે, અને જે કોઈને ચશ્માના નંબર હશે તેવા મિનિમમ 5000 લોકોને ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. જે કદાચ બહારથી ખરીદ કરવામાં આવે તો લગભગ એક ચશ્મા 500થી 700 રૂપિયા કિંમતના આવી શકે છે. આ સાથે ત્યાં 5 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ બપોરના 12થી 13 હજાર લોકો માટે અને સાંજે 5થી 6 હજાર લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આમ કુલ જોઈએ તો ચશ્મા માટે લગભગ અંદાજિત 3 કરોડ, ભોજન પ્રસાદ માટે 8 કરોડ અને મોતિયાના ઓપરેશન  માટે 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સેવાયજ્ઞથી ફરી એકવાર ગુજરાતએ વાત પુરવાર કરી રહ્યું છે કે ગુજરાત સખાવત માટે હમેશા આગળ છે અને રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code