સુરત, 06 માર્ચ 2026: Crusts fell on Ratnamala Bridge શહેરના કતારગામ વિસ્તારમાં રત્નમાલા સર્કલ પાસે આશરે 63 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ફ્લાયઓવર બ્રિજને ખૂલ્લો મુકાયાને દોઢ મહિનામાં બ્રિજ પર પોપડા પડવા લાગત અને તિરાડો પડતા નવ નિર્મિત બ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રત્નમાલા સર્કલ પાસે આશરે 63 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ ગઈ તા. 22 જાન્યુઆરી 2026ના રોજ જ કરવામાં આવ્યું હતું, ત્યાં માત્ર 45 દિવસમાં જ નવ નિર્મિત બ્રિજ પર મસમોટી તિરાડો અને પોપડા ઉખડવા લાગ્યા છે. ત્યારે મ્યુનિ. દ્વારા ભ્રષ્ટાચારના ગાબડાં છુપાવવા કલરકામના થીગડાં મારવામા આવી રહ્યા છે. ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ શહેરના કતારગામ અને અમરોલીને જોડતા આ મહત્વકાંક્ષી બ્રિજનો એક રેમ્પ જનતા માટે ખુલ્લો મૂકાયાને હજુ ગણતરીના દિવસો થયા છે. ત્યારે બ્રિજ પર અનેક જગ્યાએથી સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે અને બ્રિજની સપાટી પર તિરાડો જોવા મળી રહી છે. સામાન્ય રીતે કોઈપણ બ્રિજ દાયકાઓ સુધી અડીખમ રહેવો જોઈએ, પરંતુ અહીં તો દોઢ મહિનામાં જ કોન્ટ્રાક્ટરે રિપેરિંગ કામ શરૂ કરવું પડ્યું છે. બ્રિજમાં પડેલી ખામીઓને સુધારવાને બદલે તેને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આરોપ છે કે જે જગ્યાએ તિરાડો પડી છે અથવા ગાબડાં પડ્યા છે, ત્યાં ઉતાવળે થીગડાં મારીને તેના પર કલરકામ કરી દેવામાં આવ્યું છે જેથી ભ્રષ્ટાચારની પોલ ખુલી ન જાય. જનતાના પરસેવાના 63 કરોડ પાણીમાં ગયા હોવાની લાગણી કતારગામના રહીશોમાં જોવા મળી રહી છે.


