સુરેન્દ્રનગર, 9 માર્ચ 2026: Protest against demolition of municipal library without alternative arrangements શહેરના ટાવરચોકમાં વર્ષોથી ચાલતા મ્યુનિસિપલ સંચાલિત પુસ્તકાલયને તોડીને નવુ બનાવવાનો નિર્ણય લેવાયો છે. હાલ પુસ્તકાલયને બંધ કરીને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવુ પુસ્તકાલય બને તે સારી વાત છે. પણ નવુ પુસ્તકાલય બનતા સમય લાગશે, ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરતા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે.
સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ટાવરચોક વિસ્તારમાં પુસ્તકાલય વર્ષોથી ચલાવવામાં આવતું હતું અને આ પુસ્તકાલયમાં રોજના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો અને વાંચનપ્રેમી લોકો મુલાકાત લેતા હતા. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. પરંતુ મહાનગરપાલિકા દ્વારા ડેવલોપમેન્ટના નામે પુસ્તકાલય તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. છેલ્લા ત્રણ દિવસથી પુસ્તકાલયને તાળા જોઈ અને વિદ્યાર્થીઓ અને લાઇબ્રેરીમાં વાંચવા આવતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે જેને લઈને રોષ ફેલાયો છે.
સૂત્રોના કહેવા મુજબ વાંચન પ્રેમીઓ દ્વારા પુસ્તકાલય કન્યા શાળામાં ખસેડવાની માંગ હતી પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફાયર બ્રિગેડ સ્ટેશન ઉપર આવેલો એકમાત્ર નાનો હોલ આપી દેવામાં આવ્યો છે. જ્યાં પુસ્તકાલયમાં બેઠક વ્યવસ્થા અને સામાન અને પુસ્તકોની વ્યવસ્થા અને બેઠકની યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે. મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વાચકવર્ગ પણ હવે પરેશાન બની રહ્યો છે. ત્યારે તાત્કાલિક નિર્ણય કરી અને પુસ્તકાલય શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં વાંચન કરી શકે તે માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા મ્યુનિના અધિકારીઓ સમક્ષ માંગણી કરવામાં આવી છે.


