1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ, રિવરફ્રન્ટ-વોકવે બંધ કરાયો
અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ, રિવરફ્રન્ટ-વોકવે બંધ કરાયો

અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ, રિવરફ્રન્ટ-વોકવે બંધ કરાયો

0
Social Share
  • વાસણા બેરેજના 25 ગેટ ખોલાયા,
  • નદીમાં પૂર આવતા બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન તણાઈ ગયો,
  • ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીએ રોદ્ર રૂપ ધારણ કર્યું છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અને સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે. રિવરફ્રન્ટ અને વોકવે લોકોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર પાણી સાથે સાપ પણ તણાઈને આવ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો હતો. આ બધા વચ્ચે નદીની વચ્ચેના ભાગે કન્ટેનરમાં બે સિક્યુરિટી ગાર્ડ હજી પણ પાણીની વચ્ચે બેસી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં ભારે વરસાદના પગલે નદીઓમાં પાણી વધ્યું છે. સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધી છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યાં છે. સાબરમતી નદી પર બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તે તમામ માલ સામાન પાણીમાં વહી ગયો છે. સાબરમતી ઇન્દિરા બ્રિજથી રેલવે ઓવરબ્રિજ સુધીના રિવરફ્રન્ટ વોક વે પર પાણી ફરી વળ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યો છે. આજે સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવા માટે અને પાણીનો નિકાલ કરવા માટે વાસણા બેરેજના 25 ગેટ ખોલવામાં આવ્યા છે. સિંચાઇ ખાતાએ વાસણા બેરેજનાં 25 દરવાજા 6 ફૂટ ખોલી નાખતાં નદીમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થવાને કારણે લોકો માટે વોકવે બંધ કરવામાં આવ્યો છે.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ જ વધી છે જેના કારણે વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. ગેટ નંબર 5થી 29 ખોલી દેવામાં આવ્યા છે જેના કારણે પાણી જઈ રહ્યું છે. અમદાવાદ જિલ્લાના ધોળકા, ભાટ સહિતના ગામડાઓમાંથી પાણી આગળ જઈ રહ્યું છે. અત્યારે હાલ 60,000 ક્યુસેકની આસપાસ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પરના વોકવે અને લોઅર પ્રોમિનાડ બંને ઉપર પાણી જોવા માટે લોકો આવી રહ્યા છે.

મહેસાણાના વડનગર તાલુકામાં આવેલા જૂની વાગડી ગામે પસાર થતી સાબરમતી નદીમાં સાત જેટલા યુવકો રેતી ભરવા માટે ટ્રેક્ટર લઈ નદીમાં ગયા હતા. આ દરમિયાન સાબરમતી નદીમાં અચાનક પાણી આવતા આ યુવકો ફસાઈ ગયા હતા. યુવકો બચવા માટે બેટ પર ચડી ગયા હતા. જોકે આ ઘટનાની જાણ ગામના લોકોનો થતા ગામના લોકો નદી કિનારે દોડી આવી તંત્રને જાણ કરતા તંત્ર રેસ્ક્યૂ માટે ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code