
હિમોફિલિયાના દર્દીઓને ૮ કરોડ રૂ.ના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇંજેક્શન પુરા પડાયાં
હિમોફિલિયા એ લોહી ગંઠાવા માટે જરુરી ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અને ૯ ની જન્મજાત ઉણપથી થતી દુલર્ભ બિમારી છે. આ ક્લોટીંગ ફેક્ટરની ઉણપ લોહીની ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરે છે જેથી આ બીમારીથી પીડીત દર્દી ને સામાન્ય ઇજા પછી પણ સ્વયંભૂ રક્તસ્રાવ થાય છે અને લાંબા સમય સુધી રક્તસ્રાવ ચાલુ રહે છે. હિમોફિલિયા બીમારી વિશે ની વધુ વિગતો જણાવતા ડૉ.રાકેશ જોશી એ જણાવ્યુ હતુ કે, હિમોફીલીયા ના દર્દીઓને રક્તસ્રાવના એપિસોડને રોકવા માટે આ ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અથવા ૯ ના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. જો કે, આ સારવાર માટે જરુરી એવા ક્લોટીંગ ફેક્ટર-૭, ૮ અને ૯ ઇન્જેક્શન મોંધા હોવાથી કોઇ ને પણ પરવડે તેમ હોતા નથી.
રાજ્ય સરકાર દ્વારા જીએમએસસી એલ મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની વાત કરી એ તો વર્ષ ૨૦૨૪ માં કુલ ૧૫૩ દર્દીઓને હિમોફીલીયાની સારવાર અંતર્ગત રક્તસ્ત્રાવની રોકથામ એટલે કે પ્રિવેન્શન માટે તેમજ રક્ત સ્ત્રાવ શરુ થયો હોય તો તેને બંધ કરવા માટે વિવિધ ફેક્ટર ( ફેક્ટર-૭, ૮, ૯) ના ઇન્જેક્શન આપી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે , ઉક્ત ૧૫૩ માંથી ૧૮ હિમોફીલીયા ના દર્દી બીજી કોઇ બીમારી ના કારણે ઓપરેશનની જરુર હોય તેવા હતા જેમનુ ઓપરેશન આ ફેક્ટર ના ઇન્જેક્શન આપીયે તો જ શક્ય બને તેમ હતું.
જો, વિવિધ ફેકટર ઇન્જેક્શનની વાત કરી એ તો વર્ષ ૨૦૨૪ માં ૧ કરોડ ૪૬ લાખ ૮૭ હજાર ના ફેક્ટર-૮, ૯૬ લાખ ૫૯ હજારના ફેક્ટર-૯, ૪૩ લાખ ૬૮ હજારના ફેક્ટર -૭ અને ફેક્ટર-૯ ઇનહીબીટર, અંદાજીત ૭૦ લાખના ફેક્ટર-૭ તેમજ ૪ કરોડ ૫૦ લાખ કરતા વધારેના રક્ત સ્ત્રાવ રોકવા માટેના EMICIZUMAB ઇંજેક્શનો મળી કુલ ૮ કરોડ ૮ લાખ કરતા વધુની સારવાર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.