અમદાવાદ, 17 એપ્રિલ 2026: High Court rejects petition on land issue શહેરના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા આસારામ આશ્રમની જમીનના મામલે વિવાદ ચાલી રહ્યો છે. અને સરકારી જમીન પરત લેવા જિલ્લા કલેકટરના આદેશ બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો હતો. હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નામુંજર કરતા હવે સરકાર દ્વારા 50 હજારથી વધુ ચોરસ મીટર જમીન પરત મેળવાશે
અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં સાબરમતી નદી કિનારે આવેલા આસારામ આશ્રમની જમીન પાછી લેવા કલેક્ટરે આદેશ કર્યો હતો. કલેક્ટરે આદેશમાં નોંધ્યું હતું કે આશ્રમે જમીન આપતી વખતે સરકારે મૂકેલી શરતો ભંગ કરી છે. ત્યારબાદ આશ્રમે કલેક્ટરના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટ સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો, જેથી આસારામ આશ્રમ દ્વારા ડબલ જજની બેન્ચ સમક્ષ સિંગલ જજના હુકમને પડકાર્યો હતો.હાઇકોર્ટની ડબલ જજની બેંચે આશ્રમની અપીલ નકારી નોંધ્યું હતું કે આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો છે અને નદીની જમીન પણ પચાવી છે. નદીનું જમીનનું રેગ્યુલરાઇઝેશન થઈ શકે નહી.
હાઇકોર્ટે કહ્યું આશ્રમે 4 અઠવાડિયા માટે સ્ટે માંગ્યો છે, જેથી તેઓ ઉપરની કોર્ટમાં અપીલમાં જઈ શકે. જો કે સરકારી વકીલે બાહેંધરી આપી કે આશ્રમને લેન્ડ રેવન્યુ કોડ 202 અંતર્ગત નવી નોટિસ આપવામાં આવશે, જેથી તેઓ જગ્યા ખાલી કરીને સરકારને સોંપી શકે.
અમદાવાદમાં આગામી કોમનવેલ્થને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થયું છે. ત્યારે મોદી સ્ટેડિયમની બાજુમાં સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી. કરોડો રૂપિયાની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલાં છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યારે 21 જાન્યુઆરી, 2026એ AMCએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી છે, અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી છે. તેથી આગામી સમયમાં 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે


