માનવ અધિકાર દિવસઃ UNએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી
નવી દિલ્હીઃ આજે માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. માનવ અધિકારો પર સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા ની યાદમાં દર વર્ષે 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 1948 માં માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા અપનાવી અને અમલમાં મૂકી. સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ માટે તેને સામાન્ય માનક ધોરણ તરીકે અપનાવવામાં આવ્યું હતું. આ વર્ષની માનવ અધિકાર દિવસની થીમ છે – આપણા અધિકારો, આપણું ભવિષ્ય. આ એ માન્યતાને વધુ મજબૂત કરે છે કે માનવ અધિકાર એ માત્ર એક આકાંક્ષા નથી, પરંતુ વ્યક્તિઓ અને સમુદાયોને વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સશક્તિકરણનું એક વ્યવહારુ માધ્યમ છે.
માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ (યુડીએચઆર)ની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે, જેને 1948માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને જાહેર કરવામાં આવ્યો હતો. યુ.ડી.એચ.આર. માનવાધિકારોના રક્ષણ અને પ્રમોશન માટે વૈશ્વિક બેંચમાર્ક તરીકે સેવા આપે છે. ભારતનું રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી) માનવ અધિકાર દિવસને દુનિયાભરના વિવિધ હિતધારકો માટે તેમની કામગીરી અને જવાબદારીઓ પર ચિંતન કરવાની તક તરીકે જુએ છે, જેથી તેઓ માનવાધિકારોના ઉલ્લંઘનમાં યોગદાન ન આપે તેની ખાતરી કરી શકાય.
યુ.ડી.એચ.આર. એ સિદ્ધાંતને મૂર્તિમંત કરે છે કે તમામ માનવીઓ મુક્ત અને સમાન જન્મે છે, જેમાં જીવન, સ્વતંત્રતા અને સલામતીનો અધિકાર છે, કાયદા સમક્ષ સમાનતા, અને વિચાર, અંતરાત્મા, ધર્મ, અભિપ્રાય અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આ સિદ્ધાંતનું પ્રતિબિંબ ભારતના બંધારણ અને માનવ અધિકાર સંરક્ષણ ધારા (પીએચઆરએ), 1993માં પણ જોવા મળે છે, જેણે 12મી ઓક્ટોબર, 1993ના રોજ ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી)ની સ્થાપના માટે કાયદાકીય માળખું પૂરું પાડ્યું હતું.