1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024નો પ્રારંભ
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે   ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024નો પ્રારંભ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024નો પ્રારંભ

0
Social Share
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુક ફેસ્ટિવલનું કર્યું ઉદઘાટન,
  • કેન્દ્રના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી AMC દ્વારા આયોજન,
  • CMએ નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ સહિત ચાર પુસ્તકો ખરીદ્યા

 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024’નો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીએ મધર ઓફ ડેમોક્રેસી – ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @100) અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિદ્યાર્થીઓને ‘સમૃદ્ધ ભારત માટેના પાંચ વચન’નાં પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત બુક ‘એક્ઝામ વોરિયર્સ’ બાળકોને આપવામાં આવી હતી.

આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, શહેરના ધારાસભ્યો અમિત શાહ,  હર્ષદ પટેલ, જીતુભાઈ પટેલ,  અમિત ઠાકર, અમુલ ભટ્ટ, ડેપ્યુટી મેયર  જતીન પટેલ, સ્ટે.કમિટીના ચેરમેન  દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર  એમ.થેન્નારસન, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ  ભાગ્યેશ જ્હા, નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન  મિલિંદજી તથા મ્યુનિ. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ‘વાંચે ગુજરાત’ અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં 12 વર્ષથી ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી યોજાયેલા ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ના તમામ સંસ્કરણોને અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓનો અનેરો પ્રતિસાદ સાંપડ્યો છે.

હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0  અંતર્ગત 30 નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટનો સહયોગ સાંપડતા અમદાવાદ નેશનલ બુક ફેર હવે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કરીને પહેલી વખત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ તરીકે યોજાઈ રહ્યો છે.

આ સમગ્ર આયોજનમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત 1000થી વધુ પ્રકાશકોનાં પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તકરસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બની રહેશે. આ સાથે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે.

અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સ્પેન, શ્રીલંકા, પોલેન્ડ, ડેન્માર્ક, સ્કોટલેન્ડ, સિંગાપોર, યુ.એ.ઈ. જેવા દેશોના વક્તાઓ તથા પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાઓનું માર્ગદર્શન કરશે. જેમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મોનિકા હલાન, રામ મોરી, ઇ. વી. રામાકિશન, સૌરભ બજાજ, વિલિયમ ડેલરિમ્પલ, ગિલેર્મો રોડ્રિગ્ઝ માર્ટિન, મોનિકા કોવાલેસ્કો-સુમોવ્સ્કા અને મેટ્ટ જ્હોન્સન જેવા ખ્યાતનામ  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકારો, લેખકો અને વક્તાઓ વિવિધ વિષયો પર શ્રોતાઓ સાથે સંવાદ સાધશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code