
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતનું સ્વાગત કર્યું છે. બંને દેશોના નાગરિકો ઘણુ બધુ સહન કરી ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરીને ગુટેરેસે ઇઝરાયલ અને ઈરાનને યુદ્ધવિરામનું સંપૂર્ણ પાલન કરવા અને લડાઈ બંધ કરવા વિનંતી કરી છે.. મહાસચિવને આશા છે કે આ યુદ્ધવિરામ પ્રદેશના અન્ય સંઘર્ષોમાં પણ લાગુ થઈ શકે છે. ગઈકાલે અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સવારે 3:30 વાગ્યે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 કલાકમાં એટલે કે આજથી 6 કલાકમાં સંપૂર્ણ યુદ્ધવિરામ લાગુ થશે. ઈરાન પહેલા 12 કલાક માટે પોતાના શસ્ત્રો છોડી દેશે અને પછી ઇઝરાયલ આગામી 12 કલાક માટે પોતાના શસ્ત્રો છોડી દેશે. તે જ સમયે, ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ ટ્રમ્પના યુદ્ધવિરામ અંગેના નિવેદન પર કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.