
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પુર્ણ સીઝફાયરને મુદ્દે સૈધાંતિક સહમતી સંધાઈ ચુકી છેઃ ટ્રમ્પ
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પુર્ણવિરામ મુકાય તેવા સંકેત છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇ રાતે બંને દેશો વચ્ચે સીઝફાયર મુદ્દે સહમતી સંધાઈ હોવાની જાહેરાત કરી હતી. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોસિયલ પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પુર્ણ સીઝફાયરને મુદ્દે સૈધાંતિક સહમતી સંધાઈ ચુકી છે. ટ્રમ્પે સૌને તે બદલ અભિનંદન આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, છ કલાકની અંદર પુર્ણ અને સમગ્ર શસ્સ્રવિરામનો અમલ શરૂ થઇ જશે .આરંભિક 12 કલાક સુધી ઇરાન સંઘર્ષ વિરામનું પાલન કરશે. તે પછી ઇઝરાયલ પાલન કરશે. 24 કલાક પછી આ સંઘર્ષ સમાપ્ત માનવામાં આવશે. તે સાથે જ 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવી જશે. રસપપ્રદ વાત એ છે કે, ઇરાન સંઘર્ષ વિરામ માટે તૈયાર થઇ ગયું છે. ઇઝરાયલ તરફથી હજી કોઇ પ્રતિક્રીયા સામે આવી નથી. આ પહેલા ઇરાને અમેરિકા વિરૃદ્ધ જવાબી કાર્યવાહી કરતાં કતાર અને ઇરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથક પર હુમલો કર્યો હતો. હુમલો થતાં દોહામાં એર મિસાઇલ સિસ્ટમ અપડેટ કરી દેવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના થોડા કલાકો પહેલા જ ઈરાને કતારમાં US અલ-ઉદેદ એર મિલિટરી બેઝ પર 19 મિસાઈલ છોડી હતી. જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે ઈરાને હુમલા પહેલા આ અંગે ચેતવણી જાહેર કરી હતી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઈઝરાયલ સાથે યુદ્ધવિરામના અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, ઈઝરાયલ સાથે હજુ સુધી કોઈ અંતિમ યુદ્ધવિરામ કરાર થયો નથી. જો ઈઝરાયલ ઈરાનીઓ પર તેના ગેરકાયદે હુમલા બંધ કરશે, તો ઈરાન હુમલાઓ અટકાવશે.
આ પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સવારે 3:30 વાગ્યે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 12 કલાકમાં એટલે કે આજથી 6 કલાકમાં સંપૂર્ણ યુદ્ધવિરામ લાગુ થશે. ઈરાન પહેલા 12 કલાક માટે પોતાના શસ્ત્રો છોડી દેશે અને પછી ઇઝરાયલ આગામી 12 કલાક માટે પોતાના શસ્ત્રો છોડી દેશે. તે જ સમયે, ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ ટ્રમ્પના યુદ્ધવિરામ અંગેના નિવેદન પર કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.