
- ગત વર્ષની તુલનાએ મગફળીના વાવેતરમાં વધારો,
- કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 90% થયુ,
- વરાપ નિકળતા વાવેતરમાં વધારો થશે
અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના પ્રારંભ પહેલા જ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ પડ્યો છે. સારા વરસાદને લીધે ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. ચોમાસુ પણ સારૂ રહેશે તે આશાએ ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષેની તુલનામાં આ વર્ષે 84.14 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે આ સમયગાળામાં ગુજરાતમાં ચોમાસુ પાકનું કુલ વાવેતર 9,93,606 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે વધીને 18,29,597 હેકટર થઇ ગયું છે. હવે ધરતીપુત્રો માટે શ્રીકાર વર્ષા બાદ હાલ ધીમી ધારે પડતો વરસાદ પાક માટે ખૂબ જ ફાયદાકારક છે. હજી ગત સપ્તાહે જ સૌરાષ્ટ્રમાં મોટા પાયે વાવેતર થયું છે. વરસાદના રૂપમાં ખરીફ પાક પર કાચું સોનું વરસી રહ્યું છે તેમ ખેડૂતો જણાવી રહ્યાં છે.
રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગત વર્ષે ખરીફ પાકનું કુલ વાવેતર 9,93,606 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે 84.14 ટકા વધીને 18,29,597 હેકટરના આંકને આંબી ગયુ છે. આંકડાકીય રીતે ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 8,35,991 હેકટરનો વધારો થયો છે. જેમાં મગફળીનું વાવેતર સૌથી વધુ છે. મગફળીનું કુલ વાવેતર 9,06,019 હેકટરમાં થયું છે જ્યારે સફેદ સોનુ઼ ગણાતા કપાસનું વાવેતર 7,57,842 હેકટરમાં થયું છે. દર વર્ષે કપાસનું કુલ એવરેજ વાવેતર રાજ્યમાં 25,34,342 હેકટરમાં થાય છે અને તે પૈકી 7,57,842 હેકટરમાં વાવણી થઇ ગઇ હોય 29.90 ટકા વાવેતર થઇ ગયું છે. રાજ્યભરમાં સમયસરના ચોમાસાના આરંભથી વાવેતરમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ આ વર્ષે જોવા મળી છે. અત્યાર સુધીમાં જે ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાક માટે વાવેતર રહ્યું છે અને સાથે આંતરખેડ અને નિંદામણનું કામ પૂરું કરી લીધું છે. આ વાવેતર થયેલા છે તે પાકને વરસાદની તાતી જરૂર હતી અને ગત સપ્તાહે થયેલા વાવેતર પર કાચું સોનું વરસ્યું છે તેમ કહી શકાય. સફેદ સોનું ગણાતા કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 29.21 ટકા થઇ ગયુ છે. અને વરાપ નીકળતા ખેડૂતો વાવણી કાર્યમાં જોડાયેલા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થયો છે. ગુજરાતમાં ગત વર્ષે 23 જૂન સુધીમાં મગફળીનું કુલ વાવેતર 3,23,687 હેક્ટરમાં થયું હતુ તે આ વર્ષે વધીને 9,06,019 થઇ ગયુ છે. એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં મગફળીના વાવેતરમાં 280 ટકાનો વધારો થયો છે.