
નરેન્દ્ર મોદી 6 જૂને જમ્મુ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય અવકાશ મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આજે મંગળવારે (3 જૂન) જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 જૂને વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ, ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક પ્રોજેક્ટનો એક ભાગ છે.
ડૉ. જીતેન્દ્ર સિંહે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી 6 જૂને ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. જે નવા ભારતની શક્તિ અને વિઝનનું ગૌરવપૂર્ણ પ્રતીક છે. વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ, શક્તિશાળી ચિનાબ બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં છે. તે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંકનો એક ભાગ છે. આ બ્રિજ કુદરતની સૌથી કઠિન કસોટીઓનો સામનો કરવામાં સક્ષમ છે.
આ બ્રિજ વિશે સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની ઊંચાઈ 359 મીટર છે, જે પેરિસના એફિલ ટાવર કરતાં પણ વધુ છે. તે વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન બ્રિજ છે અને 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનનો સામનો કરવા પણ સક્ષમ છે. તે સ્ટીલનો બ્રિજ છે અને તેના નિર્માણમાં લગભગ 30,000 મેટ્રિક ટન, સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે નવા ભારતની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.
ચિનાબ રેલવે બ્રિજ, વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન બ્રિજ, કટરાથી સંગલદાન વિભાગનો ભાગ હશે, જે નવી દિલ્હીને કટરા દ્વારા સીધા કાશ્મીર સાથે જોડશે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચિનાબ બ્રિજ, એ એન્જિનિયરિંગની એક અજાયબી છે, જે નદીના પટથી 359 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. તે ઇતિહાસમાં પ્રથમ વખત, કાશ્મીર ખીણને રેલ દ્વારા ભારતના બાકીના ભાગ સાથે સત્તાવાર રીતે જોડશે.