
નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જીઝાન નજીક બુધવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ ભારતીયોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે માર્ગ અકસ્માતની ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો અને અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી. દૂતાવાસે કહ્યું કે તે સ્થાનિક અધિકારીઓ અને પીડિતોના સંબંધીઓ બંનેના સંપર્કમાં છે.
જેદ્દાહ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. દૂતાવાસે કહ્યું, “જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સંપૂર્ણ સહાય પૂરી પાડી રહ્યા છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપૂર્ણ સંપર્કમાં છે. અમે ઘાયલો ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. તેમજ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ સાઉદી અરેબિયાના જીઝાન નજીક થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વિદેશ મંત્રીએ કહ્યું કે તેમણે જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ સાથે વાત કરી છે અને ત્યાંના અધિકારીઓ પીડિતોના પરિવારો સાથે સતત સંપર્કમાં છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર લખ્યું, “આ અકસ્માત અને જાનહાનિ વિશે જાણીને દુઃખ થયું છે. જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી જેઓ પરિવારોના સંપર્કમાં છે. તેઓ આ દુ:ખદ પરિસ્થિતિમાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપે છે.”