
નવી દિલ્હીઃ આગામી મહિનાઓમાં મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચૂંટણી પંચ કલમ 326, RP એક્ટ, 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં EPIC ને આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરશે. UIDAI અને ECI ના ટેકનિકલ નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરામર્શ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે મતદાર યાદીમાં અનિયમિતતાના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો સંકલ્પ કર્યો છે.
લિંક કરવાનું કામ બંધારણના અનુચ્છેદ 326 ની જોગવાઈઓ અનુસાર
આ પગલું એવા મતદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યું છે જેઓ એક કરતાં વધુ સ્થળોએ મતદાર તરીકે નોંધાયેલા છે. દેશમાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડને લિંક કર્યા બાદ હવે મતદાર ઓળખ કાર્ડને (Voter ID) પણ આધાર સાથે લિંક કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં લેવામાં આવ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ નવી દિલ્હીના નિર્વાચન સદન ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદાકીય વિભાગના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને યુઆઇડીએઆઈના સીઇઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.
આધાર ડેટાબેઝ સાથે સ્વૈચ્છિક રીતે જોડવાની મંજૂરી આપે છે
આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનું કામ બંધારણના અનુચ્છેદ 326 ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો ટૂંક સમયમાં આ સંદર્ભમાં વધુ ચર્ચા કરશે. બંધારણમાં મતદાર ઓળખપત્રને આધાર સાથે લિંક કરવાની પણ જોગવાઈ છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 જેને ચૂંટણી કાયદા (સુધારા) અધિનિયમ, 2021 તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની કલમ 23 મુજબ ચૂંટણી નોંધણી અધિકારી સ્વૈચ્છિક ધોરણે ઓળખ સ્થાપિત કરવા માટે હાલના અથવા સંભવિત મતદારોને આધાર નંબર પ્રદાન કરવાની માંગ કરી શકે છે. આ કાયદો મતદાર યાદીઓને આધાર ડેટાબેઝ સાથે સ્વૈચ્છિક રીતે જોડવાની મંજૂરી આપે છે.