
- મંદીમાં સપડાયેલા રત્ન કલાકારો માટે સરકારે પેકેજની જાહેરાત કરી છે,
- ભાવનગર જિલ્લામાં એક લાખથી વધુ રત્ન કલાકારો છે,
- રત્નકલાકારોના બાળકોને રૂ.13,500ની મર્યાદામાં એક વર્ષ માટે ફી માફીનો લાભ અપાશે
ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી મંદી ચાલી રહી છે. જેમાં છેલ્લા એક વર્ષ વ્યાપક મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. ત્યારે સરકારે રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણમાં સહાય આપવાની યોજના જાહેર કરી છે. રત્નકલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય માટે જાહેર કરાયેલી યોજનામાં ભાવનગર જિલ્લાના એક લાખથી વધુ રત્નકલાકારો સામે માત્ર 6 હજાર જેટલા ફોર્મ ભરાતા રત્નકલાકાર સહાય પેકેજ યોજનાનો ભાવનગર જિલ્લામાં ફિયાસ્કો થયો છે.
વૈશ્વિક પરિબળો સહિતના અનેક પાસાઓને કારણે હીરાનો વ્યવસાય છેલ્લા ત્રણ વર્ષથી મંદીના અજગરી ભરડામાં સપડાયો છે. મંદીના માહોલમાં હીરાના વ્યવસાયમાં હીરા ઘસવાનું કામ કરતા રત્નકલાકારોની હાલત વધુ કફોડી બનતા તાજેતરમાં રાજ્ય સરકારે રત્નકલાકાર સહાય પેકેજની જાહેરાત કરી હતી. રત્નકલાકારોના બાળકો માટે શિક્ષણ સહાય માટે જાહેર કરાયેલી યોજનામાં ભાવનગર જિલ્લાના એક લાખથી વધુ રત્નકલાકારો સામે માત્ર 6 હજાર જેટલા ફોર્મ ભરાતા રત્નકલાકાર સહાય પેકેજ યોજનાનો ભાવનગર જિલ્લામાં ફિયાસ્કો થયો છે.
રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજમાં રત્નકલાકારોના બાળકો માટે શૈક્ષણિક વર્ષ-2025-26 માટે રૂ.13,500ની મર્યાદામાં એક વર્ષ માટે ફી માફી આપવામાં આવશે. પોતાના બાળકો માટે શિક્ષણ સહાય લેવા માંગતા રત્નકલાકારોએ બાળકો માટે લાગુ કરેલી સ્કૂલ ફી સહાયનું અરજી ફોર્મ ભરવાનો આજે તા.23મી જુલાઈ-2025 છેલ્લો દિવસ હતો. ભાવનગર જિલ્લા સહિત રાજ્યમાં રત્નકલાકાર સહાય પેકેજ યોજનાની શરૂઆતથી જ કામગીરીમાં સુસ્તતા જોવા મળી હતી ત્યારે વર્ષ-2009માં સરકારની રત્નદિપ યોજનાની માફક રત્નકલાકાર સહાય પેકેજ યોજનાનો પણ ફ્લોપ શૉ થયો હોય તેવી હાલત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે રત્નકલાકાર સહાય પેકેજનો લાભ હજુ ગુજરાત રાજ્યના છેવાડાના રત્ન કલાકારો સુધી પહોંચ્યો નથી. રાજ્યમાં હાલ સુરત, બોટાદ, અમરેલી, અમદાવાદ અને ભાવનગર જિલ્લાના મળી કુલ અંદાજે 88,500 જેટલા જ ફોર્મ ભરાયા છે ત્યારે સરકારે રત્ન કલાકારોની સહાય પેકેજ યોજનાની મુદ્દતમાં વધારો કરાવાની પણ માગ ઊઠી છે. (File photo)