કલમાના આધારે પાકિસ્તાન બન્યાનો પાકિસ્તાનના ચીફ મુનીરે દાવો કરી બિન-મુસ્લિમો સામે ઓક્યું ઝેર
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે વિદેશી પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક પરિષદમાં ભારત, હિન્દુ ધર્મ, દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત, કાશ્મીર અને ગાઝા જેવા મુદ્દાઓ પર પ્રવચન આપ્યું હતું. જે માત્ર વિવાદાસ્પદ જ નહોતા પણ વિભાજનકારી અને નફરત ફેલાવનારું પણ હતું. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 13થી 16 એપ્રિલ ૨૦૨૫ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં તેમણે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ પાસેથી આર્થિક મદદની પણ અપીલ કરી હતી. કોન્ફરન્સમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની શૈલી કોઈ કમાન્ડર જેવી નહીં પણ એક કટ્ટર ધાર્મિક ઉપદેશક જેવી હતી.
જનરલ મુનીરે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, “જીવનના દરેક પાસામાં આપણે હિન્દુઓથી અલગ છીએ.” આ નિવેદન મોહમ્મદ અલી ઝીણાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનું એ જ જૂનું અર્થઘટન છે, જેમાં ધર્મને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવવામાં આવ્યો હતો. જનરલ મુનીરે વધુમાં કહ્યું કે “આપણા ધર્મ, રીતરિવાજો, પરંપરાઓ, વિચાર અને મહત્વાકાંક્ષાઓ અલગ છે, તેથી જ આપણા પૂર્વજોએ પાકિસ્તાનનો પાયો નાખ્યો હતો”.
અસીમ મુનીરનું ભાષણ વિદેશી પાકિસ્તાનીઓ માટે ભાવનાત્મક અપીલ કરતાં આર્થિક ભીખ માંગતું વધુ લાગ્યું હતું. તેમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું, “તમે પૈસા મોકલીને અને રોકાણ કરીને તમારા દેશ પ્રત્યે પ્રેમ દર્શાવી રહ્યા છો. ભૂલશો નહીં કે તમે એક શ્રેષ્ઠ વિચારધારા સાથે જોડાયેલા છો”.
મુનીરે દાવો કર્યો હતો કે દુનિયામાં ફક્ત બે જ રાજ્યો છે જે અલ્લાહે કલમાના આધારે બનાવ્યા છે, એક મદીના અને બીજું પાકિસ્તાન. તેમણે કહ્યું, “અલ્લાહે 1300 વર્ષ પછી પાકિસ્તાન બનાવ્યું છે”. પોતાના ભાષણના અંતે, મુનીરે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી અને ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીની ટીકા કરી અને પેલેસ્ટિનિયનો માટે સમર્થન વ્યક્ત કર્યું હતું. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આયોજિત વિદેશી સંમેલનમાં વડા પ્રધાન શાહબાઝ શરીફ સહિત પાકિસ્તાનના તમામ મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા.


