- રાષ્ટ્રપતિ ગીરમાં સફારી પાર્કની મુલાકાત લેશે,
- દ્રોપદી મુર્મુ સોમનાથ મહાદેવજીના દર્શન કરી ધ્વજારોહણ કરશે,
- રાષ્ટ્રપતિના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 10મી ઓક્ટોબરથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુ ગીરમાં સફારી પાર્કની મુલાકાત લેશે. અને ત્યારબાદ સોમનાથ મહાદેવજીના દર્શન માટે જશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગુજરાતના બે દિવસના પ્રવાસે તા. 10મી ઓક્ટોબરે આવી રહ્યા છે. ગીર સફારીની મુલાકાત લેશે. અને સિંહને નિહાળશે. ત્યારબાદ સોમનાથ હેલિપેડ પર આગમન કરશે અને બાદમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિષ નમાવી મહાપૂજા, ધ્વજારોહણ અને જળાભિષેક વિધિમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિની આ ઐતિહાસિક મુલાકાતને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી રહ્યા છે. સોમનાથ હેલિપેડની સઘન ચકાસણી તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સતત ચાલુ છે. રાષ્ટ્રપતિના સ્ટાફ માટે રહેવા-ઉતારાની વ્યવસ્થા પણ જિલ્લા તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આ સંભવિત મુલાકાત માત્ર સોમનાથ જ નહિં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહેશે.


